ગુજરાત 2002 રમખાણોની પીડિતા અને કોંગ્રેસના માજી સાંસદ સ્વ. એહસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીનું ગત સપ્તાહે 86 વર્ષની વયે અવસાન થયું હતું..એહસાન જાફરી 2002ના ગુજરાત રમખાણ દરમિયાન ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં 68 અન્ય લોકો સાથે માર્યા ગયા હતાં. ઝાકિયા જાફરીએ રમખાણો પાછળ મોટા ષડયંત્રનો આરોપ લગાવતા ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરતાં કાયદાકીય લડાઈ લડી હતી.
મળતી માહિતી મુજબ, ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ અમદાવાદમાં છેલ્લાં શ્વાસ લીધા હતાં. 2006થી ગુજરાત સરકાર સામે લાંબી કાયદાકીય લડાઈ લડવાના કારણે તે પીડિયો માટે ન્યાયની લડાઈનો ચહેરો બન્યા હતાં.
ઝાકિયા જાફરીના દીકરા તનવીર જાફરીએ જણાવ્યું કે, ‘મારી મા અમદાવાદમાં મારી બહેનના ઘરે ગઈ હતી. તેણે ગત શનિવારે પોતાની સવારની દિનચર્યા પૂરી કરી અને પોતાના પરિવાર સભ્યોની સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેને ગભરામણ થવા લાગી, ત્યારે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન આશરે 11:30 વાગ્યે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.’