શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં શનિવારે હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં હતા. આ ત્રિદિવસીય હનુમાન જન્મોત્સવ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. શ્રી હનુમાનજી એ સેવક, સ્વામી સાથે સાથે સદગુરુ, વક્તા, સંદેશ વાહક, રામદૂત, સામવેદનાં ગાન કરનાર… વગેરે ભૂમિકામાં રહેલાં છે. વિદ્યાઓના અલગ અલગ ઉપાસકો અને આવાં ઉપક્રમોનાં અનુભવો અને અનુભૂતિ ઉપરથી લાગે છે કે, આપણાં રોજિંદા જીવન સિવાય પણ જીવનમાં કશુંક અલગ તત્ત્વ રહેલું છે, જેની સૌને પ્રતીતિ થઈ રહી જ છે.
આ પ્રસંગે શ્રી મોરારિબાપુનાં હસ્તે ગાયન, વાદ્ય, નૃત્ય તથા તાલવાદ્ય માટે હનુમંત સન્માન અર્પણ થયાં. આ સન્માનિતોમાં શ્રી જયતીર્થ મેવુંડી ( ગાયન ), શ્રી નિલાદ્રી કુમાર ( સિતાર વાદન ), શ્રી વિદુષી અદિતિ મંગળદાસ ( નૃત્ય કથ્થક ) તથા શ્રી સત્યજિત તલવળકર ( તાલવાદ્ય તબલા )નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં નટરાજ સન્માનમાં પ્રાણજીવન પૈજા ( ભવાઈ ), સનત વ્યાસ ( નાટક ), ‘અર્જુન’ ફિરોઝખાન ( હિન્દી શ્રેણી ) સન્માનિત થયાં. ભામતી સન્માન સંસ્કૃત ભાષાની સેવા કરનાર પુનિતાબેન દેસાઈને તથા વાચસ્પતિ સન્માન સંસ્કૃત ભાષા સંદર્ભે ગિરીશ જાનીને, ચિત્રકામ માટે કૈલાસ લલિતકળા સન્માન નૈના દલાલને, સદભાવના સન્માન ગુલઝાર અહેમદ ગયાનને અને સુગમ સંગીત માટે અવિનાશ વ્યાસ સન્માન હરિશ્ચંદ્ર જોષીને અર્પણ કરવામાં આવેલ છે.
