સાઉદી અરેબિયાએ 1 ફેબ્રુઆરીથી વિઝા આપવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારથી ભારત સહિત વિવિધ 14 દેશોના નાગરિકોને અસર થશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ દેશોમાંથી આવતા મુસાફરોને ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા જ મળશે. જેથી લાંબાગાળાના વિઝા સાથે અનધિકૃત રીતે હજ કરી શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાના મલ્ટીપલ એન્ટ્રી વિઝા ધરાવતા લોકો હજ દરમિયાન હજની પરમિટ વગર ગેરકાયદે હજ કરે છે. જેના પર નિયંત્રણ લાવવા માટે આ નિયમોમાં ફેરફાર કરાયા છે. સરકારની દલીલ છે કે, ગેરકાયદે હજ કરવાથી પવિત્ર શહેર મક્કામાં ભીડ વધી જાય છે.
સિંગલ એન્ટ્રી વિઝા વ્યક્તિને ફક્ત એક જ વાર દેશમાં પ્રવેશવાની મંજૂરી આપે છે, જ્યારે મલ્ટીપલ એન્ટ્રી વિઝા એ લાંબાગાળાના વિઝા છે જે વિઝા ધારકને તે દેશની અનેકવાર મુલાકાત લેવાની મંજૂરી આપે છે. આ નિર્ણયથી અલ્જેરિયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, જોર્ડન, મોરોક્કો, નાઇજીરીયા, પાકિસ્તાન, સુદાન, ટ્યુનિશિયા અને યમનના નાગરિકોને અસર થશે. સાઉદી અરેબિયાએ તેના વિઝા નિયમોમાં ફેરફારના ભાગરૂપે, પર્યટન, બિઝનેસ અને પરિવારની મુલાકાત લેવા માટે આ દેશોમાંથી આવતા લોકો માટે એક વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા છે. નવા નિયમો મુજબ, આ અસરગ્રસ્ત દેશોમાંથી આવતા પ્રવાસીઓ ફક્ત સિંગલ એન્ટ્રી વિઝા માટે અરજી કરી શકે છે તેઓ સાઉદીમાં વધુમાં વધુ 30 દિવસ રહી શકશે. જોકે, આ ફેરફારથી હજ, ઉમરાહ, રાજદ્વારી અને રહેઠાણ વિઝા પ્રભાવિત થશે નહીં. મીડિયા રીપોર્ટ મુજબ સાઉદીના અધિકારીઓનું કહેવું છે કે મલ્ટી વિઝા એન્ટ્રીઓનો દુરુપયોગ થઈ રહ્યો હતો. કેટલાક મુસાફરો લાંબાગાળાના વિઝા પર દેશમાં આવીને રહેતા હતા અને પછી હજ કરવા અથવા સાઉદી અરેબિયામાં કામ કરવા માટે અનધિકૃત સમયગાળા માટે રોકાતા હતા. હજ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે સાઉદી અરેબિયા કડક પગલાં લેવાયા છે. આ માટે તેમણે દરેક દેશ માટે હજ ક્વોટા નક્કી કર્યો છે. દર વર્ષે, કોઈ પણ દેશને ગમે તેટલો ક્વોટા મળે, તે દેશના ઘણા મુસ્લિમો હજ માટે મક્કા જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે હજ દરમિયાન 1200થી વધુ હજયાત્રીઓના ગરમીના કારણે મૃત્યુ થયા હતા, જેમાં મોટાભાગના લોકો અનધિકૃત હજયાત્રીઓ હતા, જેઓ પરમિટના અભાવે સાઉદી સરકાર દ્વારા કરવામાં આવેલી હજ તૈયારીઓનો લાભ લઈ શક્યા ન હતા અને ગરમીને કારણે મૃત્યુ પામ્યા હતા.