લંડન સ્થિત સેન્ટ્રલ બેન્કિંગ ઓફ યુનાઈટેડ કિંગડમ (UK)એ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પસંદગી કરી છે. ‘પ્રવાહ’ અને ‘સારથી’ નામની ડિજિટલ પહેલ માટે આરબીઆઇની આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરાઈ હતી.
યુકેના આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળવા બદલ આરબીઆઇને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે આ એક પ્રશંસનીય સિદ્ધિ છે, જે ગવર્નન્સમાં ઈનોવેશન અને કાર્યક્ષમતા દર્શાવે છે. ડિજિટલ ઈનોવેશન ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમને મજબૂત કરી રહ્યું છે, જેનાથી મોટી સંખ્યામાં લોકોના જીવન સશક્ત બન્યા છે.
આરબીઆઈના ઇન-હાઉસ ડેવલપર ટીમ આ બંને ડિજિટલ પ્રોગ્રામ તૈયાર કર્યા છે. એવોર્ડ કમિટીએ સ્વીકાર્યું હતું કે, કેવી રીતે આરબીઆઈએ આ બે ડિજિટલ પહેલ મારફત પેપર-આધારિત સબમિશનનો ઉપયોગ ઘટાડ્યો છે, જેનાથી RBIની આંતરિક અને બાહ્ય પ્રક્રિયાઓમાં પરિવર્તન આવ્યું છે. જાન્યુઆરી 2023માં શરૂ કરાયેલી સારથીએ આરબીઆઈના આંતરિક વર્કફ્લોનું ડિજિટાઈઝેશન કર્યું છે, જેનાથી કર્મચારીઓ સુરક્ષિત રીતે ડોક્યુમેન્ટ્સ સબમિટ અને શેર કરી શકે છે. આનાથી રેકોર્ડ મેનેજમેન્ટમાં સુધારો થયો છે. તેમજ કર્મચારીઓ રિપોર્ટ્સ અને ડેશબોર્ડ દ્વારા ડેટાનું એનાલિસિસ પણ શક્ય બન્યું છે.
આરબીઆઈએ મે 2024માં પ્રવાહ લોન્ચ કર્યું હતું, જે બાહ્ય યુઝર્સ માટે આરબીઆઈ સમક્ષ રેગ્યુલેટરી એપ્લિકેશન સબમિટ કરવા માટેનું એક ડિજિટલ માધ્યમ છે. પોર્ટલ દ્વારા સબમિટ કરવામાં આવેલા અને પ્રક્રિયા કરાયેલા દસ્તાવેજો સારથી ડેટાબેઝમાં પ્લગ કરવામાં આવે છે, જ્યાં તેમને કેન્દ્રિય સાયબર સુરક્ષા સિસ્ટમ્સ અને ડિજિટલ ટ્રેકિંગ સાથે આરબીઆઈની ઑફિસમાં ડિજિટલી હેન્ડલ કરી શકાય છે.
