(Photo bySEBASTIAN D'SOUZA/AFP via Getty Images)
યશરાજ ફિલ્મ્સ દ્વારા તાજેતરમાં રાણી મુખરજી અભિનીત મર્દાની ફિલ્મની ત્રીજી સીક્વલની જાહેરાત કરવામાં આવી હતી. આ સીક્વલની પ્રથમ ફિલ્મ 2014માં રજૂ થઇ હતી, તે ફિલ્મની દસમી એનિવર્સરી નિમિત્તે આ જાહેરાત કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં યશરાજ ફિલ્મ્સ દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉની બે ફિલ્મોની હાઇલાઇટ્સ રજૂ કરવામાં આવી હતી. જેના દ્વારા આ દસકા દરમિયાન ફિલ્મને મળેલા પ્રેમ અને સહકાર બદલ દર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે શિવાની શિવાજી રોય એટલે કે રાની મુખરજીની ત્રીજી ફિલ્મનું કામ શરૂ થયું છે.
આ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું હતું, “મર્દાનીના દસ વર્ષ અને નવા પ્રકરણની રાહ જોવાઈ રહી છે…આજે એક બહાદુર, બાહોશ પોલીસ અધિકારી શિવાની શિવાજી રોય અને મર્દાનીના જુસ્સાની ઉજવણી કરીએ છીએ. મારી પ્યારી ફ્રેન્ચાઈઝીને એક દાયકા સુધી પ્રેમ અને સરાહના આપવા બદલ આપનો આભાર. આપના કારણે..અમને ફરી ….પ્રેરણા મળી છે…” મર્દાની ફ્રેન્ચાઇઝીની ફિલ્મોને સમીક્ષકોએ પણ આવકારી છે અને આ ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ સારી સફળતા મળી છે. હજુ સુધી આ ત્રીજી સીક્વલના અન્ય કલાકારો નક્કી કરવામાં આવ્યા નથી, પરંતુ શિવાની શિવાજી રોય તરીકે રાણી મુખરજી નક્કી છે. ટૂંક સમયમાં આ ફિલ્મનું કામ શરૂ થઈ જશે. આ પહેલાં રાણી મુખરજી છેલ્લે ‘મિસીસ ચેટર્જી વર્સસ નોર્વે’માં જોવા મળી હતી.

LEAVE A REPLY