હજારો રાજકોટવાસીઓના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે શનિવારે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા યાત્રા – ૨૦૨૪માં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ જનસભાને સંબોધી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાત તપસ્વી સંતો-મહંતો, સમાજ સુધારકો, સ્વાતંત્ર સેનાનીઓ, વીરોની ભૂમિ છે, જેની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે. આ ભૂમિને હું નમન કરું છું. આ ભૂમિ આપણી આંતરિક ચેતનાને પ્રજ્જવલિત કરે છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી. આજે અહીં ચોમેર તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે એ જોઈને આપણને આઝાદીના કાળખંડની યાદ આવે છે. આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન રહ્યું છે. ગુજરાતના મહાત્મા ગાંધી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ક્યારેય ના ભુલાવી શકાય. ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાનું સપનું જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે. તેમણે યુવાનોને અપીલ કરી હતી કે, આપણને આઝાદી સરળતાથી નથી મળી. હજ્જારો વીર-શહીદોએ બલિદાનો આપ્યા છે તથા લાખો પરિવારોએ પોતાના સુખ-ચેન ત્યાગીને દિવસ-રાત જોયા વિના મા ભારતીની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. આ મહાનુભાવો અને આઝાદીના સંઘર્ષનો ઈતિહાસ આપણે યાદ રાખવો જોઈએ. ૯મી ઓગસ્ટ ૧૯૪૨ એ મહાત્મા ગાંધીજીએ “અંગ્રેજો હિન્દ છોડો”ની કરેલી હાકલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, આ આંદોલન જન-જનનો અવાજ બની ગયું હતું અને અંગ્રેજોને પડકાર આપ્યો હતો. એ પછી અનેક અનેક આંદોલનો ચાલ્યા અને દેશ આઝાદ થયો હતો.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય પર્વને જનઆંદોલન બનાવવા દેશભરમાં “હર ઘર તિરંગા” યાત્રાનો વિચાર અમલમાં મુક્યો છે. દેશના ગૌરવ સમાન તિરંગાની ગરિમાને જાળવી રાખવાના અવસરમાં રાજકોટવાસીઓના અનેરા ઉત્સાહને બિરદાવતા તેમણે કહ્યું કે,”આપણો તિરંગો સૌ દેશવાસીઓને એકસૂત્રતામાં બાંધે છે. વડાપ્રધાનશ્રી દ્વારા દેશભરમાં શરૂ કરવામાં આવેલા “મેરી માટી મેરા દેશ”, “આઝાદી કા અમૃત મહોત્સવ”, “તિરંગા યાત્રા” સહિતના અભિયાનોએ નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જન-જનમાં રાષ્ટ્રભક્તિ વધુ બળવત્તર બને તે માટે આરંભાયેલું આ મહાઅભિયાન હવે ઘર-ઘર સુધી પહોંચ્યું છે.
જનસભા બાદ સૌ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જયુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ યાત્રાનું ઠેર ઠેર સંગીતની સુરાવલીઓ, પરંપરાગત નૃત્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂટ પરથી જ્યારે તિરંગા યાત્રા પસાર થઈ ત્યારે લોકોએ પુષ્પવૃષ્ટિ કરીને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. તિરંગા યાત્રાના આરંભ પૂર્વે બહુમાળી ભવન ખાતે મુખ્ય સ્ટેજ ખાતે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. કણબી રાસ, માંડવી, મણીયારો રાસ, બેડા નૃત્ય, પાંચાળનો ડોકા રાસ, નળકાંઠાના પઢારોનો મંજીરા રાસ, ડાંગી નૃત્ય, ઢાલ-તલવાર નૃત્ય, મિશ્રા રાસ, રાઠવા નૃત્ય છોટાઉદેપુર, માલધારીઓનો ગોફ રાસ, ગરબા, ચોરવાડનું ટિપ્પણી નૃત્યએ રંગત જમાવી હતી.
તિરંગા યાત્રામાં રાજકોટ અનેક શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો, સામાજિક સેવા સંસ્થાઓ, વેપારી તથા ઉદ્યોગ સંગઠનો, કોલેજ તથા યુનિવર્સિટીના અધ્યાપકો તથા છાત્રો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

LEAVE A REPLY