વડોદરામાં, મંગળવાર, ઑગસ્ટ 27, 2024ના રોજ પૂરગ્રસ્ત વિસ્તાર. (PTI Photo)

ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે મંગળવાર 27 ઓગસ્ટે સતત ત્રીજા દિવસે અતિ ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અવિરત વરસાદ વચ્ચે ડેમ અને નદીઓમાં જળસ્તરમાં વધારાને કારણે નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાવાથી 17,827થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું અને પાણીમાં ફસાયેલા 1,653ને બચાવી લેવાયા હતાં. રાજ્યના વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ઘરોમાં પાણી ભરાયા હતા. અનેક રસ્તાઓ બંધ થઈ જવાથી રાજ્ય પરિવહનની બસ સેવાઓ અને રેલવે વ્યવહારને અસર થતાં જનજીવન ઠપ થયું હતું. ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે રાહત, બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે છ આર્મી કોલમ ફાળવી હતી. રાજ્યભરમાં સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી.

રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 22 ટીમો તૈનાત કરાઈ હતી. વીજ પુરવઠો ખોરવાતા અસરગ્રસ્ત બનેલા 7,009 ગામોમાંથી 6,977 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરાઇ હતી. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા 6,090 વીજ થાંભલાઓમાંથી 5,961નું સમારકામ કરાયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગાંધીનગર, ખેડા અને વડોદરા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં ચાર વ્યક્તિના મોત થયા હતા, જ્યારે આણંદ જિલ્લામાં ઝાડ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો ડૂબી ગયા હતા.પંચમહાલ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, ખેડા, ગાંધીનગર, બોટાદ અને અરવલી જિલ્લાના વહીવટીતંત્રોએ નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ વચ્ચે સાવચેતીના પગલારૂપે સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

પંચમહાલમાં જિલ્લા વહીવટીતંત્રે આશરે 2,000 લોકોનું સ્થળાંતર કર્યું હતું, જ્યારે વડોદરામાં 1,000, નવસારીમાં 1,200 અને વલસાડમાં 800 લોકોને અન્ય વિસ્તારોમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે રાજ્યના મોટાભાગના ભાગોમાં, બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં અને ગુરુવારે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

મંગળવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં 347 મીમી (13 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતું. પંચમહાલના મોરવા હડફ (346 મીમી), ખેડાના નડિયાદ (327 મીમી), આણંદના બોરસદ 318 મીમી, વડોદરા તાલુકમાં 316 અને આણંદ તાલુકો 314 મીમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 251માંથી ઓછામાં ઓછા 24 તાલુકાઓમાં 200મીમી (સાત ઇંચ)થી વધુ અને 91 તાલુકાઓમાં 24 કલાકમાં 100મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 523 રસ્તાઓ બંધ કરાયા હતાં. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની રાજધાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતાં અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સંબંધિત વિગતો એકઠી કરી હતી તથા રાહત અને બચાવ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

સોમવારે રાજ્યના 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સરેરાશ 63.36 મીમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં 18 ઇંચ સુધીના ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. સામાન્ય જન જીવન અને ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ હતી. રાજ્યના 244 તાલુકા જળબંબાકાર થયા હતા. નવસારીના ખેરગામમાં 24 કલાકમાં 18.20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ કપરાડામાં 14 ઇંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

રાજકોટમાં ભારે વરસાદને કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો. અમદાવાદમાં રવિવારની રાત્રે આશરે છ ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. લોકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ, વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 326 મિલીમીટર (આશરે 13 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતો. નવસારીના ખેરગામમાં સવારે 6 વાગ્યાથી 248 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરત, તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે ભારે અસર થઈ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 600થી વધુ લોકોને ભારે વરસાદને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

નવસારીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (ડિઝાસ્ટર) એ.એમ. ગામીતે જણાવ્યું હતું કે, “બીલીમોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવતાં કુલ 17 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર પૂર્ણા અને કાવેરી નદીઓના વધતા જળ સ્તરો પર પણ નજર રાખી રહ્યું છે.”

શનિવારે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ગામડાઓને જોડતા રાજ્ય ધોરીમાર્ગો અને રસ્તાઓ બ્લોક થયા હતાં.બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં શનિવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 112 મીમી વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં (102 મીમી) અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં (101 મીમી) વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં શનિવારે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં 205 મિમી વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ શહેરમાં પણ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. છ રાજ્ય ધોરીમાર્ગો અને 36 પંચાયત રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં.નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, તાપી, મહિસાગર અને મોરબી, દાહોદ અને વડોદરાના અન્ય જિલ્લાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં બારેમેઘ ખાગાં જેવી પરિસ્થિતિ થઈ હતી બપોર પછી વરસાદે રાજકોટને જાણે બાનમાં લીધુ હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર કરી દીધા હતા. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને લોકોના સાતમ-આઠમના તહેવારોની મજા બગાડી હતી. શહેરમાં સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાહત અને બચાવ કાર્ય માટે આર્મીની છ કોલમ તૈનાત

ગુજરાતમાં ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે રાહત, બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે છ આર્મી કોલમ ફાળવી હતી. આ આર્મી દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટીતંત્રને મદદ કરવા માટે તૈનાત કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY