વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ મુલાકાત પછી સીધા વોશિંગ્ટન પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યાપાર, સંરક્ષણ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન બંનેએ અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જેમાં પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાંગ્લાદેશના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ ભારત આ સ્થિતિને કેવી નજરે જોઈ રહ્યો છે,તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીની ચિંતાને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ મુદ્દે અમેરિકાની કોઈ પણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ મુદ્દે નિર્ણય લેવાની સત્તા વડાપ્રધાન મોદી પર છોડું છું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થયુ છે કે, ભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે. વ્હાઈટ હાઉસની નજીક ગુરૂવારે બાંગ્લાદેશીઓએ દેખાવો કર્યા હતાં. તેમણે મોહમ્મદ યુનુસના ગેરબંધારણીય શાસનને ખતમ કરવાની માગ કરી છે. અવામી લીગ અને તેના સહયોગી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં. પ્રદર્શનકારોએ લઘુમતીઓની સુરક્ષાની પણ માગ કરી હતી. બાંગ્લાદેશની કુલ વસ્તીમાં આઠ ટકા હિન્દુ છે. પરંતુ શેખ હસીનાના પલાયન બાદ બાંગ્લાદેશમાં સર્જાયેલા અફરાતફરીના માહોલમાં હિન્દુઓને લક્ષ્યાંક બનાવી રહ્યા છે.
