2024ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે જાપાનની સંસ્થા ‘નિહોન હિડાંક્યો’ની પસંદગી કરવામાં આવી હતી. આ સંસ્થાએ પરમાણુ શસ્ત્રોથી મુક્ત વિશ્વ બનાવવાના પ્રયાસો કર્યા હતા. આ સંસ્થાએ હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકો માટે પાયાના સ્તર પર લડાઈ લડી હતી. મીડિયા રીપોર્ટ્સ મુજબ, 1956માં સ્થપાયેલ ‘નિહોન હિડાંક્યો’ સંસ્થા જાપાનમાં પરમાણુ બોમ્બથી બચી ગયેલા લોકોનું સૌથી મોટું અને સૌથી પ્રભાવશાળી સંગઠન છે. તેનો હેતુ પરમાણુ શસ્ત્રોના વિનાશક માનવતાવાદી પરિણામો અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાનો છે. સંસ્થા સાથે જોડાયેલા લોકો ઓગસ્ટ 1945માં પોતે અનુભવેલા વિનાશના અંગત અનુભવો જણાવે છે. હિરોશિમા અને નાગાસાકીના બચી ગયેલા લોકોએ – આંતરરાષ્ટ્રીય “પરમાણુ નિષેધ”ને વિચારને ઘડવામાં મદદ કરી છે, જેમણે પરમાણુ હથિયારોના ઉપયોગને નૈતિક રીતે અસ્વીકાર્ય જાહેર કર્યો છે. નોર્વેજીયન નોબેલ કમિટીએ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ 286 ઉમેદવારો પાસેથી અરજીઓ મેળવી હતી, જેમાંથી 89 સંસ્થાઓ હતી. ગત વર્ષે ઈરાની પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેઓ ઇરાનમાં પ્રતિબંધિત સંસ્થા, માનવ અધિકાર કેન્દ્રના ડિફેન્ડર્સના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેના તેમના કામથી વધુ જાણીતા છે. નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની સંસદ (સ્ટોર્ટિંગેટ) દ્વારા પસંદ કરાયેલ સમિતિ દ્વારા એનાયત કરવામાં આવે છે. સમિતિમાં નોર્વેજીયન સંસદ દ્વારા નિયુક્ત 5 સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી કરે છે.

LEAVE A REPLY