બિહારના સારણ અને સિવાન જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 25 લોકો મૃત્યુ થયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મિથાઈલ આલ્કોહોલમાં ઈન્ડસ્ટ્રીયલ સ્પીરીટ ભેળવવામાં આવ્યો હતો, જેના સેવનથી આ ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સિવાનમાં 20 અને છપરામાં 8 લોકોના મોત થયા હતાં. 25થી વધુ લોકો બીમાર પડ્યાં હતા. મોટાભાગનાની સારવાર સિવાનની સદર હોસ્પિટલમાં ચાલુ કરાઈ હતી.

છપરાના પોલીસ વડા આશિષ કુમારે જણાવ્યું હતું કે, ‘આ કેસની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઝેરી દારુ પીવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા હોવાની માહિતી સામે આવતા ડીએમ, એસપી સહિત વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. આ ઉપરાંત સદર હોસ્પિટલ સિવાન તેમજ બસંતપુર આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરોને 24 કલાક એલર્ટ પર રહેવા નિર્દેશ અપાયો હતો અને વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી.

વિપક્ષ આરજેડી નેતા મૃત્યુંજય તિવારીનું જણાવ્યું હતું કે ઝેરી દારૂ પીવાથી લોકોએ જીવ ગુમાવ્યા છે. તે ખૂબ જ દુઃખદ અને ચિંતાની વાત છે કે દારૂબંધીનો કાયદો હોવા છતાં બિહારમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ સામે આવે છે. દારૂ માફિયાઓને સરકારનું રક્ષણ છે. દારૂબંધી અમલમાં છે પરંતુ દારૂબંધીના કાયદાનો ભંગ થઈ રહ્યો છે.

LEAVE A REPLY