જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની ઉંમરે શનિવારે અમદાવાદમાં નિધન થયું છે. નૃત્યના ક્ષેત્રમાં તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને આ વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કર્યો હતો. તેમણે 1967માં અમદાવાદમાં ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા, કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જેમાં હજારો કલાકારોએ તાલીમ મેળવી હતી. કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ થયો હતો. તેમણે સાત વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનાના સોહનલાલ પાસેથી કથકની તાલીમ લેવાની શરૂ કરી હતી. આ પછી તમણે બનારસ ઘરાનાના આશિક હુસૈન અને જયપુર સ્કૂલના સુંદર પ્રસાદ પાસેથી શિક્ષા મેળવી હતી. તેમનાં માતા લીલા શાસ્ત્રીય ગાયિકા હતાં. તેમનાં માતાએ તેમને રાધેલાલ મિશ્રા પાસે તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. તેમને લાહોરમાં શાળાકીય શિક્ષણ અને પ્રયાગરાજમાં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. કુમુદિની લાખિયાએ રામ ગોપાલ સાથે નૃત્યમાં કારકિર્દી શરૂ કરી હતી. તેમણે વિદેશોમાં ભારતીય નૃત્યને જાણીતું કર્યું હતું, ત્યાર બાદ તેમણે કોરિયોગ્રાફર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમની કેટલીક સૌથી જાણીતી કોરિયોગ્રાફીઓમાં ધબકાર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ), અને અતાહ કિમ (વ્હેર નાઉ?)નો સમાવેશ થાય છે. તેઓ હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981) ફિલ્મમાં ગોપી કૃષ્ણ સાથે કોરિયોગ્રાફર પણ હતા.

LEAVE A REPLY