
ભારતની ચાર દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે તેમની ભારતીય મૂળની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે દિલ્હીમાં પ્રસિદ્ધ સ્વામિનારાણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી અને દર્શન કર્યા હતાં.
દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યા પછી તરત વાન્સ પરિવાર સીધા અક્ષરધામ મંદિર ગયો હતો. તેમણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના દર્શન કર્યા હતાં અને મંદિરની ભવ્ય સ્થાપત્યકલા જોઇ હતી. દર્શન પછી વેન્સ અને તેમના પરિવારને મંદિરના સંતો દ્વારા માળા પહેરાવવામાં આવી હતી. તેમના ત્રણ બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ પણ તેમની સાથે હતાં. તેમના બાળકોએ કુર્તા-પાયજામા પહેરેલા જોવા મળ્યા હતા અને તેમની પુત્રી લહેંગા પહેરેલી જોવા મળી હતી.
દિલ્હીના ચાણક્યપુરી અને અક્ષરધામ મંદર ખાતે સ્વાગત હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા અને સુરક્ષાની વ્યવસ્થા કરાઈ હતી.
એરપોર્ટ પર કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમનું સ્વાગત કર્યું હતું. વાઇસ પ્રેસિડન્ટને ત્રણેય સેનાના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
જે ડી વેન્સ સોમવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં વેપાર, ટેરિફ, પ્રાદેશિક સુરક્ષા તથા ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોની મજબૂત બનાવવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરશે. આ પછી વડાપ્રધાન મોદી જેડી વેન્સના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરશે. ઇટાલીની યાત્રા પૂર્ણ કર્યા પછી વાન્સ સીધા દિલ્હી આવ્યાં હતાં.
સોમવારે સાંજે 6.30 વાગ્યે વડાપ્રધાન મોદી તેમના સેવન લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને વેન્સ અને તેમના પરિવારનું સ્વાગત કરશે. આ પછી બંને નેતાઓ વચ્ચે સત્તાવાર વાતચીત થશે. વાટાઘાટો પછી મોદી વેન્સ અને તેમની સાથેના અમેરિકન અધિકારીઓને રાત્રિભોજન માટે આમંત્રિત કરશે.
નવી દિલ્હી અને વોશિંગ્ટન હવે દ્વિપક્ષીય વેપાર કરાર પર મહોર મારવા માટે વાટાઘાટો કરી રહ્યા છે ત્યારે અમેરિકી વાઇસ પ્રેસિડન્ટ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. બંને દેશો વચ્ચે ટેરિફ, નોન ટેરિફ અવરોધો, બજારમાં પ્રવેશ સહિતના મુદ્દે ચર્ચાવિચારણા થવાની ધારણા છે.
વેન્સની સાથે પેન્ટાગોન અને વિદેશ વિભાગના અધિકારીઓ સહિત ઓછામાં ઓછાં પાંચ અધિકારીઓ પણ ભારત આવી રહ્યાં છે.
વેન્સ અને મોદીની મુલાકાત દરમિયાન અમેરિકા-ભારત વચ્ચેના સૂચિત વેપાર કરારને વહેલા અંતિમ સ્વરૂપ આપવાના તથા બંને દેશોના એકંદર સંબંધોને વેગ આપવાના મુદ્દે ચર્ચાવિચારણા થવાની ધારણા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, એનએસએ અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને અમેરિકામાં ભારતીય રાજદૂત વિનય મોહન ક્વાત્રાનો સમાવેશ થાય તેવી ધારણા છે. વેન્સનો અને તેમનો પરિવાર સોમવારની રાત્રે જયપુર માટે રવાના થશે. દિલ્હીમાં યુએસ વાઇસ પ્રેસિડન્ટ અને તેમનો પરિવાર ITC મૌર્ય શેરેટન હોટેલમાં રોકાવાના છે.
22 એપ્રિલે વેન્સ પરિવાર ભારતના અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે, જેમાં અંબર કિલ્લો તરીકે ઓળખાતા આમેર કિલ્લાનો સમાવેશ થાય છે. આ કિલ્લો યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ છે. તેઓ જયપુરમાં રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે એક સભાને સંબોધિત કરશે. તેમના ભાષણમાં વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ભારત-અમેરિકા સંબંધોના વ્યાપક પાસાઓ પર વાત કરશે. આ કાર્યક્રમમાં રાજદ્વારીઓ, વિદેશ નીતિ નિષ્ણાતો, ભારતીય સરકારી અધિકારીઓ અને શિક્ષણવિદો હાજર રહે તેવી અપેક્ષા છે.
યુએસ વાઇસ પ્રેસિડન્ટ અને તેમનો પરિવાર 23 એપ્રિલની સવારે આગ્રા જાય તેવી અપેક્ષા છે.આગ્રામાં તેઓ તાજમહેલ અને શિલ્પગ્રામની મુલાકાત લેશે. શિલ્પગ્રામ ભારતીય કલાકૃતિઓનું પ્રદર્શન કરતું ઓપન એર એમ્પોરિયમ છે. આગ્રાની મુલાકાત પૂર્ણ કર્યા પછી વેન્સ પરિવાર 23 એપ્રિલે બપોર પછી જયપુર પરત આવશે. તેઓ 24 એપ્રિલે જયપુરથી યુએસ જવા રવાના થશે.
જયપુરમાં તેઓ ભવ્ય રામબાગ પેલેસ નામની લક્ઝરી હોટેલમાં રોકશે. આ હોટેલ એક સમયે શાહી ગેસ્ટહાઉસ તરીકે સેવા આપતી હતી
