ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કેનેડાએ કથિત કનેક્શન હોવાનો આક્ષેપ કર્યા પછી ભારત સરકારે કેનેડામાં તેના હાઈ કમિશનરને પરત બોલાવી લેવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. કેનેડાએ ભારતના બીજા કેટલાંક રાજદ્વારીઓ અને અધિકારીઓના પણ નામ આપ્યા હોવાનું માનવામાં આવે છે.

સોમવારની સાંજે ભારત સરકારે કેનેડાના ચાર્જ ડી અફેર્સને સમન્સ કર્યા હતાં અને જણાવ્યું હતું કે “અમને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં કોઈ વિશ્વાસ નથી.” ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં ટ્રુડો સરકારના પગલાં તેમની સુરક્ષાને જોખમમાં મૂકે છે. અમને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વર્તમાન કેનેડિયન સરકારની પ્રતિબદ્ધતામાં કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે હાઈ કમિશનર અને બીજા ટાર્ગેટેડ રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ કેનેડાએ જણાવ્યું હતું કે તે નિજ્જરની હત્યામાં “રુચિ ધરાવતા વ્યક્તિ” તરીકે ભારતીય હાઈ કમિશનરની તપાસ કરી રહ્યું છે. કેનેડાના આ નિવેદન પછી બંને દેશોના સંબંધો વધુ વણસ્યા હતાં.

વિદેશ મંત્રાલયને ગઈકાલે કેનેડા તરફથી એક રાજદ્વારી સંદેશાવ્યવહાર મળ્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં તપાસ સંબંધિત મામલામાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. કેનેડા દ્વારા હાઈ કમિશનર સંજય કુમાર વર્મા પર લગાવવામાં આવેલા આક્ષેપો “હાસ્યાસ્પદ” છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “હાઈ કમિશનર સંજય કુમાર વર્મા 36 વર્ષની વિશિષ્ટ કારકિર્દી સાથે ભારતના સૌથી વરિષ્ઠ સેવા આપતા રાજદ્વારી છે. તેઓ જાપાન અને સુદાનમાં રાજદૂત રહી ચૂક્યા છે, જ્યારે ઈટાલી, તુર્કિયે, વિયેતનામ અને ચીનમાં પણ સેવા આપી ચૂક્યા છે. કેનેડાની સરકારે તેમના પર કરેલા આક્ષેપો હાસ્યાસ્પદ છે.

સરકારે સોમવારે સાંજે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને જાણ કરી હતી કે “કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાયાવિહોણા આક્ષેપ સાથે ટાર્ગેટ કરવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે”.એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ભારત વિરુદ્ધ ઉગ્રવાદ, હિંસા અને અલગતાવાદ માટે ટ્રુડો સરકારના સમર્થનના જવાબમાં ભારત આગળ પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે.

LEAVE A REPLY