(istockphoto.com)

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા કમિશન (USCIRF)ને તેના વાર્ષિક રીપોર્ટમાં ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માગણી કરીને આક્ષેપ કર્યો હતો કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ કથળી રહી છે. જોકે ભારતે આ રીપોર્ટને ‘દૂષિત અહેવાલ’ ગણાવીને ફગાવી દીધો હતો.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે “યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) અંગેના અમારા મંતવ્યો જાણીતા છે. તે રાજકીય એજન્ડા સાથેની એક પક્ષપાતી સંસ્થા છે. અમે આ દૂષિત અહેવાલને નકારી કાઢીએ છીએ, જે ફક્ત USCIRFને વધુ બદનામ કરવા માટે કામ કરે છે.”

રીપોર્ટમાં જણાવાયું હતું કે નાગરિકતા સુધારો ધારો, એક સમાન નાગરિક સંહિતા અને કેટલાક રાજ્ય-સ્તરના ધર્માંતરણ અને ગૌહત્યા વિરોધી કાયદાઓ દ્વારા ભારતના કાનૂની માળખામાં ફેરફાર કરીને ધાર્મિક લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેમના મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવે છે.

વરિષ્ઠ નીતિ વિશ્લેષક સેમા હસન દ્વારા લખાયેલ આ રીપોર્ટમાં ભારત નામના સેક્શનમાં આક્ષેપ કરાયો છે કે ભારતમાં સરકારી અધિકારીઓના દ્રેષપૂર્ણ ભાષણો સહિતની ખોટી માહિતીનો ઉપયોગ કરીને ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજાના સ્થળો પર હિંસક હુમલા માટે ઉશ્કેરણી કરવામાં આવે છે. તેના વાર્ષિક અહેવાલમાં USCIRFએ અમેરિકાના વિદેશ વિભાગને ભલામણ કરી છે કે ધાર્મિક સ્વતંત્રતાના વ્યવસ્થિત, નિરંતર અને ગંભીર ઉલ્લંઘન બદલ ભારતને “ખાસ ચિંતાનો દેશ” તરીકે નિયુક્ત કરવો જોઇએ. જોકે વિદેશ વિભાગે આ રીપોર્ટની ભલામણ હજુ સુધી સ્વીકારી નથી.

કમિશનને જણાવ્યું હતું કે 2024 દરમિયાન ગૌરક્ષક જેવા ધાર્મિક જૂથોએ વ્યક્તિઓની હત્યા કરી છે. તેમની સાથે મારપીટ કરી હતી અને તેનું મોબ લિચિંગ કર્યું છે. ધાર્મિક નેતાઓની મનસ્વી રીતે ધરપકડ કરવામાં આવી છે તથા ઘરો અને પૂજા સ્થાનોને તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટનાઓ ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતાનું ગંભીર ઉલ્લંઘન કરે છે.
અગાઉની મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારથી શરૂ કરીને ભારતે તેની આંતરિક બાબતોમાં દખલગીરી દર્શાવીને યુએસસીઆઈઆરએફના સભ્યોને દેશની મુલાકાત લેવા માટે વિઝા આપવાનો સતત ઇનકાર કર્યો છે. ભારત અને કેટલાક ભારતીય-અમેરિકન જૂથોએ ભૂતકાળમાં યુએસસીઆઈઆરએફ પર પક્ષપાતી, અવૈજ્ઞાનિક અને એજન્ડા-આધારિત અહેવાલ મારફત દેશને બદનામ કરવાનો આરોપ મૂક્યો છે.

LEAVE A REPLY