ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતું કે ભારત અવકાશમાંથી અદભૂત લાગે છે. તે તેના પિતાના વતનની મુલાકાત લેશે અને ત્યાંના લોકો સાથે અવકાશ સંશોધન વિશેના અનુભવો શેર કરશે.
સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિલિયમ્સે આ ટિપ્પણી કરી હતી. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હતાં ત્યારે ભારત કેવું દેખાતું હતું તેવા પ્રશ્નના જવાબમાં વિલિયમ્સે જણાવ્યું હતું કે ભારત અદભૂત છે. દર વખતે અમે હિમાલય પાર કરતા હતાં અને હું તમને કહીશ કે, બૂચે હિમાલયના કેટલાક અદભૂત ચિત્રો લીધાં હતાં. ખરેખર અદભૂત છે.
નવ મહિના સુધી અવકાશમાં ફસાયેલા રહ્યાં પછી પૃથ્વી પર પરત આવેલા વિલિયમ્સે સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોરે સાથેની પ્રથમ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધન કર્યું હતું.
વિલિયમ્સે જણાવ્યું હતું કે મને આશા છે અને મને ખાતરી છે કે, હું મારા પિતાના વતનમાં જઈશ અને લોકો સાથે મુલાકાત કરીશ. એક્સિઓમ મિશન પર જઈ રહેલા ભારતીય નાગરિક વિશે ઉત્સાહિત છું. તે ખૂબ જ અદભૂત હશે.
વિલિયમ્સ અહીં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એક્સિઓમ મિશન 4 (એક્સ-4)ના કોમર્શિયલ મિશનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. આ મિશનમાં ભારતના મિશન પાઇલટ શુભાંશુ શુક્લાનો સમાવેશ થશે.લખનૌમાં જન્મેલા શુક્લા ૧૯૮૪માં ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી રાકેશ શર્મા પછી અવકાશમાં જનારા ભારતના બીજા અવકાશયાત્રી હશે.
વિલિયમ્સના પિતા દીપક પંડ્યા ગુજરાતના વતની હતાં અને ૧૯૫૮માં અમેરિકા આવ્યા હતાં જ્યાં તેમણે ક્લેવલેન્ડ, ઓહિયોમાં મેડિસિનમાં ઇન્ટર્નશિપ અને રેસીડેન્સી તાલીમ લીધી હતી. સુનીતાનો જન્મ ઓહાયોમાં દીપક અને ઉર્સુલિન બોની પંડ્યાને ત્યાં થયો હતો.
સાથી ક્રૂ મેમ્બર્સને ભારતની યાત્રા પર લઈ જવાની યોજના ધરાવે છે કે નહીં તેવા વિલમોરના સવાલના જવાબમાં સુનીતાએ જણાવ્યું હતું કે ચોક્કસ. અમે તમને બધાને મસાલેદાર ભોજન ખવડાવીશું, સારું રહેશે.
