ભારતમાં આવનારા દિવસોમાં કોઈપણ રમતનો ખેલાડી દારુ કે સિગરેટની જાહેરાત કરતો જોવા નહીં મળે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મહાનિર્દેશક ડો. અતુલ ગોયલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)ને પત્ર લખીને ખેલાડીઓ પાસેથી તાત્કાલિક સોગંદનામુ લેવા જણાવ્યું છે. પત્રમાં ડો. ગોયલે લખ્યું છે કે ખેલાડીઓ, ખાસ તો ક્રિકેટરો દેશના યુવાનો માટે આદર્શ હોય છે. તેનાથી યુવાનોને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા મળી શકે છે. જોકે, કમનસીબી એ છે કે પીઢ સ્પોર્ટ્સ સ્ટાર્સ ઘણીવાર સિગરેટ, અથવા પાન-મસાલાની જાહેરાત કરતા જોવા મળે છે. ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થે BCCIના પ્રેસિડેન્ટ રોજર બિન્નીને દેશના લોકોને સ્વસ્થ રાખવાના નિર્ણયમાં સરકારને સમર્થન આપવા જણાવ્યું છે. તેમણે અપીલ કરી છે કે આઈપીએલ કે અન્ય ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન આવી જાહેરાતો દર્શાવવી જોઈએ નહીં. ઉપરાંત, આ જાહેરાતોમાંથી ખેલાડીઓને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ડો. ગોયલે સૂચન કર્યું છે કે બોર્ડ ખેલાડી પાસેથી એફિડેવિટ લઈ શકે છે, જેમાં તે પોતાને આ જાહેરાતોથી દૂર રાખવાનું વચન આપે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને પણ આવો જ પત્ર લખવામાં આવ્યો છે.
દેશના જાણીતા ખેલાડીઓ અને ફિલ્મ સ્ટાર્સ ઘણીવાર વિવિધ મીડિયામાં તમાકુ ઉત્પાદનોની જાહેરાત કરતા જોવા મળે છે. જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવથી લઈને વીરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર અને ફિલ્મ અભિનેતા અજય દેવગન, અક્ષયકુમાર, શાહરૂખ ખાન વગેરેનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY