ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા હતા તેમ, પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ આ નિમિત્તે જણાવ્યું હતું.
તેમણે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અંગે કહ્યું હતું કે, સુરક્ષા અને શાંતિ માટે ઓળખાતા ગુજરાતની વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, આમાં ૧૭.૫૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓ તેમજ ૨૩.૪૩ લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં ૧૧.૩૮ કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે ૭.૨૧ કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. જે ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ૧૪.૯૮ કરોડ હતી એટલે કે, ગયા વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
ભારતભરમાંથી મુખ્યત્વે ધાર્મિક, બિઝનેસ, હેરિટેજ અને લીઝર એટલે કે પોતાના વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા, અને એમ ચાર ક્ષેત્રે રસ ધરાવતા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે દેશભરમાંથી સૌથી વધુ ૧.૬૫ કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતે માં અંબાના દર્શનનો લાભ લીધો છે. જ્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે ૯૭.૯૩ લાખ, દ્વારકા ખાતે ૮૩.૫૪ લાખ, મહાકાળી મંદિર પાવાગઢ ખાતે ૭૬.૬૬ લાખ તેમજ ડાકોર ખાતે ૩૪.૨૨ લાખ એમ કુલ મળીને ૪૫૭.૩૫ લાખ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે. જ્યારે બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં ૨.૨૬ કરોડથી વધુ જ્યારે સુરતમાં ૬૨.૩૧ લાખ, વડોદરામાં ૩૪.૧૫ લાખ, રાજકોટમાં ૧૮.૫૯ લાખ અને ભરૂચમાં ૧૭.૭૨ લાખ એમ કુલ ૩૫૮.૭૭ લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.

લીઝર એટલે કે વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ૭૯.૬૭ લાખ, સાબરમતી રિવરફ્રન્ટની ૪૪.૭૬ લાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૪૩.૫૨ લાખ ,સાયન્સ સિટીની ૧૩.૬૦ લાખ તેમજ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાની ૧૧.૩૯ લાખ એમ મળીને કુલ ૧૯૨.૯૬ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજ રીતે હેરીટેજ એટલે કે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. જેના ભાગરૂપે ઐતિહાસિક શહેર વડનગરની ૬.૯૩ લાખ, પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની ૪.૦૬ લાખ, ગાંધીનગર ખાતે સ્થિત અડાલજ વાવની ૩.૮૬ લાખ, યુનેસ્કોની યાદીમાં વૈશ્વિક વારસામાં સ્થાન પામેલ પાટણમાં રાણી કી વાવની ૩.૮૩ લાખ, તેમજ એકમાત્ર સૂર્ય મંદિર મોઢેરાની ૩.૮૧ લાખ એમ મળીને કુલ ૨૨.૪૯ લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

LEAVE A REPLY