ગુજરાતમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે નવ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૩૧ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા ચેતવણી આપવામાં આવી છે જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૯૨,૦૪૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૭.૪૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૩,૦૯,૬૬૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૮ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

શનિવારે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ ઉકાઈમાં ૭૯,૨૭૪ ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં ૭૨,૩૮૨ ક્યુસેક, દમણગંગામાં ૪૨,૦૮૮ ક્યુસેક, રાવલમાં ૧૩,૧૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૬૫.૫૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૨.૨૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૨.૧૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૪૪.૦૧ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૭.૮૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

LEAVE A REPLY