(ANI Photo)
કોઇપણના જીવનમાં ખૂબ જ નજીકની વ્યક્તિ સાથેના સંબંધનો અંત ખૂબ જ દુઃખદ હોય છે. ફિલ્મ, ટીવી, સ્પોર્ટસ, રાજકારણ જેવા ક્ષેત્રોની સેલીબ્રિટિઝમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. તેઓ જાણીતા હોવાથી તેમના જીવનની આવી ઘટનાઓમાં લોકોમાં ચર્ચાનો વિષય બનતી હોય છે. બોલીવૂડમાં પણ અનેક કલાકારોના તેમની નજીકના પાત્ર સાથેના સંબંધો બ્રેક થયા છે, તેમ નાના પડદાના કલાકારોમાં પણ આવી સ્થિતિ જોવા મળે છે. ‘બિગબોસ-17’ પછી ઈશા માલવીયા અને સમર્થ જુરૈલના સંબંધના અંતની વાતો સોશિયલ મીડિયામાં ચર્ચાઇ હતી. જોકે, આવું કંઈ પ્રથમવાર નથી બન્યું કે, અગાઉ પણ ટીવી પડદાના અનેક કલાકારોના નજીકના સંબંધોનો અંત આવ્યો હતો.
ઈશા-સમર્થ
આશ્ચર્યજનક વાત તો એ છે કે ઈશા અને સમર્થના સંબંધો માત્ર ત્રણ મહિનાના જ હતા. ‘બિગબોસ-17’ શો દરમિયાન જ બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. શો પૂર્ણ થયા પછી પણ બંનેએ પોતાના સંબંધો જાળવી રાખ્યા હતા, પણ હવે અચાનક તેમના વચ્ચે બ્રેકઅપ થઈ થયું ગયું છે.
કરણ-અનુષા
કરણ કુન્દ્રા અને અનુષા દાંડેકર ટીવી પડદાનું જાણીતું દંપતી છે. બને વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ગાઢ સંબંધ હતા. જોકે 2018માં બંને વચ્ચે અચાનક બ્રેકઅપ થઈ ગયું અને તેને કારણે લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો. તેમણે આ અંગે કોઇ કારણ રજૂ કર્યું નથી, પરંતુ અનુષાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કરણે વિશ્વાસઘાત કર્યો એવા સંકેતો આપ્યા હતો. પરંતુ કરણે તે આરોપોનું ખંડન કર્યું હતું.
દિવ્યા-વરુણ
દિવ્યા અગ્રવાલ અને વરુણ સુદ પણ ટીવી સીરિયલ્સનું જાણીતું કપલ છે. જોકે 2021માં તેમણે બંનેએ પોતાના સંબંધનો અંત આવ્યો હોવાની જાહેરાત કરીને બધાને ચોંકાવ્યા હતા. વરુણ સુદે ત્યારપછી દિવ્યા પર અનેક આરોપ મુક્યા હતા. તેણે દિવ્યા પર વિશ્વાસઘાત કરવાનો અને તેનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો. દિવ્યાએ તેને ફગાવીને કહ્યું હતું કે વરુણ માત્ર ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પવિત્રા-એજાઝ વચ્ચે કોણ?
પવિત્રા પુનિયા અને એજાઝ ખાન પણ ખૂબ જ જાણીતું દંપતી હતું. ‘બિગબોસ-14’ દરમિયાન તેઓ નજીક આવ્યા હતા. પરંતુ 2023માં બંનેએ પોતાના બ્રેકઅપની જાહેરાત કરીને આંચકો આપ્યો હતો. પછી પવિત્રાએ કહ્યું કે હું અત્યારે એકલી છું અને પોતાનું ધ્યાન રાખી રહી છે. તેણે એમ પણ કહ્યું કે તે એજાઝની મિત્ર બની રહેશે અને તેને શુભેચ્છા આપતી રહેશે.
કુશલ ટંડન-ગૌહર ખાન
કુશલ ટંડન અને ગૌહર ખાન ટેલીવૂડ લોકપ્રિય કલાકારો છે. બંને ‘બિગબોસ-7’માં સાથે હતા અને ત્યારે જ તેઓ એકબીજાની નજીક આવ્યા હતા. શો પૂરો થયા પછી પણ બંનેએ ઘણા વર્ષો સુધી ડેટ કરી અને તેમના સંબંધો ગાઢ મનાતા હતા, પણ 2017માં બંને વચ્ચે અચાનક બ્રેકઅપ થઈ ગયું અને ત્યારે તેની ઘણી ચર્ચા પણ થઈ હતી. જોકે, તેમણે ક્યારેય તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી, પણ કેટલાંક મીડિયા રીપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે તેમના ધર્મના કારણે તેઓ કદાચ છૂટા થઇ ગયા હતા.
દિવ્યાંકા-શરદ
દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા ટેલીવૂડના લોકપ્રિય કલાકારો છે. બંનેએ ‘બનું મૈં તેરી’ સીરિયલમાં સાથે કામ કર્યું હતું અને આ સમય દરમિયાન જ તેમની નિકટતા વધી હતી. 2005માં તેમણે ડેટિંગ શરૂ કર્યું અને લગભગ સાત વર્ષ સુધી સાથે રહ્યા હતા. દિવ્યાંકા આ સંબંધોને બહુ ગંભીરતાથી લેતી હતી અને શરદ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી, પણ 2012માં તેમનું બ્રેકઅપ થઈ ગયું અને તેની ચર્ચા ઇન્ડસ્ટ્રીમાં ઘણા લાંબા સમય સુધી થઇ હતી.
પારસ-આકાંક્ષા
પારસ અને આકાંક્ષાએ પણ કેટલાંય વર્ષો સુધી ડેટિંગ કર્યું અને ‘બિગ બોસ’માં આવતા પહેલા તેઓ સાથે પણ રહ્યા હતા. જોકે. શો શરૂ હતો ત્યારે જ તેમની વચ્ચેના સંબંધનો અંત આવી ગયો હતો. પારસ છાબડાએ ‘બિગબોસ’માં માહિરા શર્માની નજીક જવાનું શરૂ કર્યું હતું અને આકાંક્ષાને તે પસંદ ન નહોતું, આથી તેણે શો છોડવાનો નિર્ણય કર્યો હતો.

LEAVE A REPLY