REUTERS/Athit Perawongmetha

મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા ૭.૭ની તીવ્રતાના ભયાનક ભૂકંપ અને પછીના છ આફ્ટરશોકને કારણે ઓછામાં ઓછા 144 લોકોના મોત થયા હતા અને 732 લોકો ઘાયલ થયા હતા. થાઇલેન્ડમાં પણ ભૂકંપને કારણે ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા હતાં. દક્ષિણ પૂર્વ એશિયાના આ દેશોમાં મોતના આંકડામાં વધારો થવાની શક્યતા છે, કારણ કે અનેક ઇમારતો ધરાશાયી થઈ હતી. વિયેતનામ, બાંગ્લાદેશ, ચીન અને ભારત સહિતના દેશોમાં આંચકા અને આફ્ટરશોક્સ અનુભવાયા હતાં. જોકે આ દેશોમાંથી કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યાં ન હતાં.

મ્યાનમારની રાજધાની નેપીડોમાં એક હોસ્પિટલ સહિત અનેક ઇમારાતો ધરાયશી થઈ હતી અને અનેક લોકોના મોતની આશંકા છે. માંડલની એક મસ્જિદમાં લોકો નમાઝ પઢતા હતા ત્યારે તે ધરાશાયી થઈ હતી. આ શહેરમાં એક યુનિવર્સિટી બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. મ્યાનમારના જુન્ટાના વડા મીન આંગ હ્લેઇંગ ઇમર્જન્સીની જાહેરાત કરીને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. તેમણે વિશ્વના દેશોને મદદ કરવાની પણ અપીલ કરી હતી.
ઉત્તર થાઇલેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યાં થાઇ રાજધાનીમાં બેંગકોકમાં કેટલીક મેટ્રો અને રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. વડા પ્રધાન પેટોંગટાર્ન શિનાવાત્રાએ તાત્કાલિક સમીક્ષા બેઠક યોજવા માટે ફુકેટની સત્તાવાર મુલાકાત રદ કરી હતી, ત્યારબાદ તેમણે પણ શહેરમાં ‘કટોકટી’ની સ્થિતિ જાહેર કરી હતી.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર સાગાઇંગ શહેરથી ૧૬ કિમી ઉત્તરપશ્ચિમમાં અને ૧૦ કિમીની ઊંડાઈએ હતું. ઘણી ઇમારતો ધરાશાયી થઈ હોવાના વીડિયો બહાર આવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું કે ભારતના બંગાળના કોલકાતા અને મણિપુરના કેટલાક ભાગોમાં પણ હળવા ભૂકંપના આંચકા નોંધાયાં હતાં.

સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. બેઇજિંગની ભૂકંપ એજન્સીના જણાવ્યા અનુસાર ઉત્તર થાઇલેન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાજધાની બેંગકોકમાં કેટલીક મેટ્રો અને રેલ સેવાઓ સ્થગિત કરાઇ હતી અને કટોકટીની સ્થિતિ જાહેર કરાઇ હતી. ચીનના યુનાન પ્રાંતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરે જણાવ્યું હતું કે યુનાનમાં 7.9ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. બેંગકોક અને અન્ય શહેરોમાં ઇમારતો ધ્રુજતી અને ધરાશાયી થઈ હોવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં દેખાયા છે.

બેંગકોકમાં નિર્માણાધીન એક ગગનચુંબી ઇમારત ધરાશાયી થઈ હતી અને પડોશી મ્યાનમારમાં ઇમારતો ધરાશાયી થઈ હતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે આંગ બાનમાં એક હોટલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

LEAVE A REPLY