
મ્યાનમારમાં શુક્રવાર, 28 માર્ચે આવેલા 7.7ના વિનાશક ભૂકંપનો સત્તાવાર મૃત્યુઆંક વધી રવિવારે 1700 થયો હતો. દેશના બીજા ક્રમના સૌથી મોટા શહેર માંડલે અને રાજધાની નેપીડોમાં સેંકડો ઇમારતો ધરાશાયી થઈ હોવાથી ઇજાગ્રસ્તોની સંખ્યા 3,408 અને ગુમ થયેલા લોકોની સંખ્યા 300 થઈ હતી. ઇમારતોના કાટમાળમાંથી મૃતદેહો નીકળી રહ્યાં હોવાથી આ આંકડામાં હજુ પણ વધારો થવાની ધારણા છે. બીજી તરફ પડોશી દેશ થાઇલેન્ડમાં 17ના મોતને પુષ્ટી મળી હતી. બેંગકોકમાં ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ નીચે ઓછામાં ઓછા 76 લોકો ફસાયેલે છે અને ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ હતી.
મ્યાનમારના લશ્કરી વડા સિનિયર જનરલ મીન આંગ હ્લેઇંગે ચેતવણી આપી હતી કે મૃત્યુઆંક વધી શકે છે અને તેમનું વહીવટીતંત્ર પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે.
માંડલે અને રાજધાની સહિતના મુખ્ય અસરગ્રસ્ત શહેરોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી છે. બીજા દેશોમાંથી રાહત સામગ્રી અને રેસ્ક્યુ ટીમો પણ આવી છે. જોકે એરપોર્ટ પર પણ ભારે નુકસાનને કારણે આ પ્રયાસોમાં અવરોધ ઊભો થયો છે. અગાઉ બર્મા તરીકે ઓળખાતું મ્યાનમાર લાંબા સમયથી ગૃહયુદ્ધની ઝપેટમાં છે અને તેનાથી માનવતાવાદી કટોકટી પણ હતી. દેશભરમાં અવરજવર કરવાનું મુશ્કેલ અને ખતરનાક હોવાથી રાહત પ્રયાસો જટિલ બન્યાં છે.
રાજધાની નેપીડો ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ ચાલુ થયું છે, પરંતુ હજુ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી, ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ છે. ભૂકંપને કારણે ઘણી સરકારી ઇમારતો પણ તૂટી પડી છે. લશ્કરી સત્તાવાળાએ શહેરોનો એક વિસ્તારને બ્લોક કરી દીધો હતો.
પડોશી દેશ થાઇલેન્ડમાં બેંગકોક અને બીજા વિસ્તારો પણ ભૂકંપથી હચમચી ઉઠ્યાં હતાં. બેંગકોક શહેરના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે રાજધાની નિર્માણધિન ઇમારત ધરાશાયી થવાના સ્થળે મૃતકોની સંખ્યા હવે 17 થઈ ગઈ છે, જ્યારે 78 લોકો હજુ પણ ગુમ છે. બચી ગયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે. કાટમાળના પહાડને દૂર સેડવા માટે હેવી ઇક્વિપમેન્ટ લાવવામાં આવ્યાં હતાં. પરંતુ દટાયેલા લોકોના જીવતા મળવાની આશા ઘટી રહી છે.
થાઈ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ભૂકંપ અને આફ્ટરશોક્સ દેશના મોટાભાગના પ્રાંતોમાં અનુભવાયા હતા. ઉત્તરમાં ઘણી જગ્યાએ રહેણાંક ઇમારતો, હોસ્પિટલો અને મંદિરોને નુકસાન થયું હોવાના અહેવાલ છે, પરંતુ જાનહાની માત્ર બેંગકોકમાં નોંધાઈ છે.
મ્યાનમારની આર્મીએ ફેબ્રુઆરી 2021માં આંગ સાન સુ કીની ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા આંચકી લીધી તે પછી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. ભૂકંપ પછી પણ લશ્કરી દળોએ તેમના હુમલા ચાલુ રાખ્યાં હતા. ઉત્તરીય કાયન રાજ્ય અને શાનમાં ત્રણ હવાઈ હુમલાઓ કર્યા હતાં. પ્લાન ઇન્ટરનેશનલ નામના એનજીઓના કંટ્રી હેડે જણાવ્યું હતું કે નુકસાનનું સંપૂર્ણ ચિત્ર હજુ પણ બહાર આવ્યું નથી. લોકોએ ક્યારેય ન જોયો હોય તેટલો વિનાશ થયો છે. ભૂકંપથી મ્યાનમાર એરપોર્ટનો કંટ્રોલ ટાવર ધરાશાયી થયો હતો.
ભારત, ચીન, રશિયા સહિતના દેશોએ રાહત સામગ્રી મોકલી છે. મ્યાનમારની સેનાને શસ્ત્રોના સૌથી મોટા સપ્લાયર ચીન અને રશિયાએ માનવતાવાદી સહાયમાં પણ પ્રથમ રહ્યાં હતાં.
