કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યોને તેમના અધિકારક્ષેત્રમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોને ઓળખવા અને તેમનો દેશનિકાલ કરવાની સૂચના આપી હતી. ગૃહપ્રધાન અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરીને આ સૂચના આપી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાનની નાગરિકો માટેની વિઝા સર્વિસ સ્થગિત કરીને તમામ વિઝા રદ કર્યા હતા અને પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર વધુ એક પ્રહાર કરતાં ભારતે પાકિસ્તાનની નાગરિકો માટે વિઝા સર્વિસની તાકીદની અસરથી સ્થગિત કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. આ ઉપરાંત ભારતે પાકિસ્તાની નાગરિકોને જારી કરેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલની અસરથી રદ કર્યા છે. પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા મેડિકલ વિઝા પણ માત્ર 29 એપ્રિલ સુધી માન્ય ગણાશે.
આ અંગેની જાહેરાત કરતાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોએ વિઝા સમાપ્ત થાય તે પહેલાં દેશ છોડી દેવો પડશે. મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની સલાહ પણ આપી છે અને હાલમાં જે લોકો પડોશી દેશમાં છે તેમને વહેલી તકે ઘરે પાછા ફરવાની તાકીદ કરી છે
ભારતે કહ્યું છે કે તેની પાસે પુરાવા છે કે પાકિસ્તાન હુમલાના આયોજન અને અમલમાં સામેલ હતું. ગુરુવારે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ઇટાલી, ફ્રાન્સ, જર્મની, રશિયા અને ચીનના વરિષ્ઠ વિદેશી રાજદ્વારીઓને આ પુરાવા બતાવ્યા હતાં.
