પ્રયાગરાજમાં 25 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થયેલા 45 દિવસના મહાકુંભમાં અક્ષય કુમાર, વિકી કૌશલ, કેટરિના કૈફ, રવિના ટંડન, પ્રીતિ ઝિન્ટા જેવી અનેક ફિલ્મ હસ્તીઓએ પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ છેલ્લાં દિવસે ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. પ્રીતિ ઝિન્ટાએ ત્રીજી વખત મહાકુંભ મેળામાં ગઈ હતી. અભિનેત્રીએ આ અંગે તેના X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનો અનુભવ જાદુઈ, હૃદયસ્પર્શી અને થોડો ઉદાસીભર્યો રહ્યો છે. અગાઉ અક્ષય કુમાર, વિકી કૌશલ, કેટરિના કૈફ, રવિના ટંડન જેવી અનેક હસ્તીઓએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
મહાશિવરાત્રીના છેલ્લાં પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં બુધવારે શ્રદ્ધા, એકતા અને સમાનતાના મહાપર્વ મહાકુંભની પૂર્ણાહુતિ થઈ હતી. 45 દિવસના વિશ્વના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 66 કરોડથી વધુ ભક્તોએ ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરતાં તે વિશ્વના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને અવિસ્મણીય ઘટના બની હતી. આ સંખ્યા ભારત અને ચીન સિવાયના વિશ્વના તમામ દેશોની કુલ વસ્તી કરતા વધુ છે.
મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટોચના પ્રધાનો કોર્પોરેટ વડાઓ પણ પવિત્ર ડૂબકી મારી હતી. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સહિતના વિવિધ મહેમાનોએ મેળાની ખાસ મુલાકાત લીધી હતી અને પવિત્ર સ્નાન પણ કર્યું હતું. બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓએ પરિવારના સભ્યો સાથે મેળાની મુલાકાત લીધી હતી. એપલના સ્થાપક સ્ટીવ જોબ્સની વિધવા લૌરા પોવેલ, બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિન પણ ડૂબકી મારવા આવ્યાં હતાં.
બીજા અમૃત સ્નાન દરમિયાન નાસભાગની ઘટનામાં 30 લોકોના મોત, ગંગાના પાણીની ગુણવત્તા અંગેના વિવાદ અને આગની ઘટનાઓ બની હોવા છતાં શ્રદ્ધાના બળે ભક્તો અવિચલિત રહ્યાં હતાં અને સંખ્યામાં સતત વધારો થતો રહ્યો હતો.
