જુનાગઢમાં મહાશિવરાત્રિ પર્વ નજીક આવતાં ભક્તિનો માહોલ છવાયો છે. શહેરથી નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવ ખાતે મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સાધુ-સંતોની ઉપસ્થિતિમાં મેળાની ઔપચારિક શરૂઆત કરાઈ હતી.
જૂનાગઢમાં આ મેળો પાંચ દિવસ સુધી યોજાશે, આ મેળામાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો મોટી સંખ્યામાં આવે છે. ભક્તોની સુરક્ષા અને પાર્કિંગની સુવિધાને વધુ સુગમ બનાવવા માટે જૂનાગઢ પોલીસે AI ટેક્નોલોજી નો ઉપયોગ કર્યો છે. Park Easy ચેટબોટ દ્વારા શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને પાર્કિંગ માટેનું લોકેશન મેળવી શકે છે. WhatsApp ચેટબોટમાં “Hi” મેસેજ મોકલી, શ્રદ્ધાળુઓ પોતાના જિલ્લાની પસંદગી કરીને નજીકના પાર્કિંગ સ્થળની માહિતી મેળવી શકશે. ભીડનું સંચાલન કરવા અને શ્રદ્ધાળુઓ માટે સુવિધા વધારવા 10 PRO સીસ્ટમ ગોઠવાઈ છે, જે ભીડમાં કોઈ વ્યક્તિ પરિવારથી વિખૂટા પડે તો તેને શોધવામાં સહાય કરશે.
પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા જૂનાગઢ તંત્ર અને યુવા કલાકારો સાથે મળીને ખાસ અભિયાન શરૂ કર્યું છે. ભવનાથ તળેટી વિસ્તારમાં દિવાલો પર સંદેશાસભર ચિત્રો બનાવવામાં આવ્યા છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ ફેલાવે છે.
