પાકિસ્તાનથી બલુચિસ્તાનની આઝાદીની લડત ચલાવી રહેલા સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA) એક ટ્રેનનું અપહરણ કરી સેંકડો મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો. ટ્રેન પર હુમલો કરીને તેમણે લશ્કરી કર્મચારીઓ સહિત ૧૮૨ લોકોને બંધક બનાવ્યા હતાં અને જો સુરક્ષા દળો આ વિસ્તાર છોડશે નહીં તો તેમને મારી નાખવાની ધમકી આપી હતી.બીએલએએ 20 સૈનિકોને મારી નાખ્યાં હતાં અને એક ડ્રોન તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે પાકિસ્તાની અધિકારીઓ તરફથી તેની કોઈ પુષ્ટિ થઈ નથી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવ ડબ્બામાં 400થી વધુ મુસાફરો સાથેની જાફર એક્સપ્રેસ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે તેના પર ગોળીબાર કરાયો હતો. ટ્રેનને એક ટનલમાં રાખવામાં આવી હતી અને ડ્રાઇવર ઘાયલ થયો હતો.
જૂથે જણાવ્યું હતું કે તેમણે ટ્રેનમાંથી ૧૮૨ લોકોને બંધક બનાવ્યા છે, જેમાં પાકિસ્તાની સૈન્યના સભ્યો અને રજા પર મુસાફરી કરી રહેલા અન્ય સુરક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે.નાગરિક મુસાફરો, ખાસ કરીને મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બલૂચ નાગરિકોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો છે
પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસીન નકવીએ આ હુમલાની નિંદા કરીને જણાવ્યું હતું કે સરકાર “નિર્દોષ મુસાફરો પર ગોળીબાર કરનારા જાનવરો”ને કોઈ છૂટ આપશે નહીં.
બીએલએએ તેના પ્રવક્તા જીયાંદ બલોચના હસ્તાક્ષર સાથેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો પાકિસ્તાની દળો કાર્યવાહી શરૂ કરશે તો બંધકોને મારી નાખવામાં આવશે. BLA લડવૈયાઓએ રેલ્વે ટ્રેક ઉડાવી દીધો હતો અને ટ્રેનને રોકવાની ફરજ પાડી હતી અને તેમાં ચઢી ગયાં હતાં.
BLA પ્રવક્તાએ સોશિયલ મીડિયા પરના નિવેદનમાં જણાવ્યું હતું કે કોઈપણ લશ્કરી કાર્યવાહીનો જોરદાર જવાબ આપવામાં આવશે. અત્યાર સુધીમાં છ લશ્કરી કર્મચારીઓના મોત થયા છે અને સેંકડો મુસાફરો BLAની કસ્ટડીમાં છે. બલૂચ લિબરેશન આર્મી આ કાર્યવાહીની સંપૂર્ણ જવાબદારી લે છે. રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે બલુચિસ્તાનના બોલાન જિલ્લાના મુશ્કાફ વિસ્તારમાં સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
