ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) સાથે જોડાયેલા રૂ.180 કરોડના લોન ડિફોલ્ટ કેસમાં મુંબઈની વિશેષ સીબીઆઇ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે 29 જૂને બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું હતું. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ એસપી નાઈક નિમ્બાલકરે 29 જૂનના રોજ માલ્યા સામે વોરંટ જારી કર્યું હતું, પરંતુ સોમવારે કોર્ટનો વિગતવાર આદેશ ઉપલબ્ધ બન્યો હતો.
સીબીઆઈની રજૂઆતને ધ્યાનમાં લીધા પછી 68 વર્ષીય બિઝનેસમેન સામે જારી કરાયેલા અન્ય બિનજામીનપાત્ર વોરંટ અને “ભાગેડુ” હોવાની બાબતને ટાંકીને કોર્ટે નોંધ્યું હતું કે માલ્યાને હાજર કરવા માટે ઓપન-એન્ડેડ NBW જારી કરવા માટે આ યોગ્ય કેસ છે.
કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ દાવો કર્યો હતો કે હાલમાં બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના પ્રમોટરે ચૂકવણીમાં “ઇરાદાપૂર્વક” ડિફોલ્ટ કરી સરકાર સંચાલિત બેંકને રૂ.180 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું.
દારૂનો વેપારી ઉદ્યોગપતિ હાલમાં લંડનમાં રહે છે અને ભારત સરકાર તેના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળના કેસ માટે સ્પેશિયલ કોર્ટે જાન્યુઆરી 2019માં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. બહુવિધ લોનની ચુકવણી અને મની લોન્ડરિંગમાં ડિફોલ્ટિંગનો આરોપ ધરાવતા માલ્યાએ માર્ચ 2016માં ભારત છોડી દીધું હતું.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)