(PTI Photo)

સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત 15 સપ્ટેમ્બરથી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ અમદાવાદથી ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન સર્વિસ તેમજ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST 2024)નું ઉદ્ઘાટન કરશે.

ગુજરાતના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરના રોજ, PM અમદાવાદ નજીક વડસર એરફોર્સ સ્ટેશન ખાતે સાંજે એક કાર્યક્રમમાં હાજરી આપશે. 16 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST 2024)ની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. બાદમાં બપોરે પીએમ મોદી અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે. તેઓ મેટ્રો રેલ સેવાઓ શરૂ થયા બાદ તે રૂટ પર પણ મુસાફરી કરશે. સાંજે વડાપ્રધાન રૂ.9,000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

RE-Invest 2024 વિશે બોલતા પ્રધાને જણાવ્યું હતું કે દિલ્હીની બહાર પ્રથમ વાર ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ મેગા કોન્ફરન્સમાં તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો અને ઉર્જા પ્રધાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. ડેનમાર્ક અને જર્મની સહિત વિવિધ દેશોના ઉર્જા પ્રધાનો પણ ભાગ લેવાના છે. એક સત્તાવાર રીલીઝમાં જણાવાયું છે કે RE-Invest 2024ની 4થી આવૃત્તિ, જે 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, તેમાં લગભગ 40 સત્રો હશે. આ સેશનમાં ચીફ મિનિસ્ટીરિયલ પ્લેનરી, સીઇઓ રાઉન્ડટેબલ અને ટેકનિકલ સેશનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY