મુંબઇ પોલીસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આઠ લોકોની તાજેતરમાં ધરપકડ કરી છે. આ તમામ લોકો વિદ્યાર્થી હોવાના નામે લંડન જઈ રહ્યા હતા, જેમાં એક વ્યક્તિએ ખુદને હરિયાણાની યુનિવર્સિટીનો પ્રોફેસર કહ્યો હતો. પોલીસે આ તમામની માનવ તસ્કરીના આરોપમાં ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ એરપોર્ટના ઇમિગ્રેશન ચેકપોઈન્ટ પર પકડાયા હતા. આરોપીઓએ ખોટા ડોકયુમેન્ટ અને ખોટી માહિતી રજૂ કરીને યુકેના વિઝા મેળવ્યા હતા. આ લોકો જેદ્દાહ થઈને લંડન જઈ રહ્યા હતા. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે કે એજન્ટ બિટ્ટુએ પ્રત્યેક વ્યક્તિ દીઠ રૂપિયા 20 લાખની માગણી કરી હતી.
ઇમિગ્રેશન અધિકારીઓને શરૂઆતમાં બે પ્રવાસીઓ પાસેથી યુકેના વિઝિટર વીઝા મળ્યા, ત્યાર પછી શંકાને આધારે તમામની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે આ લોકોએ જે યુનિવર્સિટીમાં જવાનો દાવો કર્યો હતો, તે અંગેની માહિતી માગવામાં આવી તો એ સ્પષ્ટ જવાબ આપી શક્યા નહીં. જ્યારે ઈમિગ્રેશન અધિકારીઓે તેમને પૂછ્યું કે કયા કારણોસર લંડન જઈ રહ્યા છો, તો બંને યાત્રીએ ખુદને સ્ટુડન્ટ ગણાવ્યા અને કહ્યું કે હરિયાણાના હિસાર સ્થિત ઓમ સ્ટર્લિંગ ગ્લોબલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છીએ, અને સ્ટુડેન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે લંડન જઈ રહ્યા છે. આ સાથે બંને યાત્રીએ કહ્યું કે, અમારી સાથે યુનિવર્સિટીના પ્રોફેસર વિજેન્દર પ્રેમચંદ પણ સાથે છે.
પોલીસે તેમની સામે કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
