
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર તાલુકામાં ત્રણ હિન્દુઓની હત્યાને પગલે ઉગ્ર વિરોધી દેખાવો થયા હતાં. ત્રણ નાગરિકોની હત્યાના વિરોધમાં રવિવારે બિલ્લાવર અને આસપાસના વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તપાસનો આદેશ આપીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે આ ત્રણ નાગરિકોની હત્યામાં આતંકવાદીઓની સંડોવણીનો સંકેત આપ્યો હતો. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ત્રણ નાગરિકોની ઘાતકી હત્યા પછી ન્યાય સુનિશ્ચિત કરવા અને જવાબદારી નક્કી કરવાનું વચન આપ્યું હતું. X પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સિન્હાએ મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ અને પારદર્શક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
15 વર્ષીય વરુણ સિંહ, તેના કાકા યોગેશ સિંહ (૩૨ વર્ષ) અને દર્શન સિંહ (૪૦)ના 5 માર્ચે મારહૂન ગામમાં એક લગ્નમાંથી પરત ફરતી વખતે ગુમ થઈ ગયા હતાં. સેના દ્વારા વ્યાપક શોધખોળ બાદ શનિવારે તેમના મૃતદેહ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતાં.
કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા 3 યુવાનોની ક્રૂર હત્યા અત્યંત દુઃખદ અને ચિંતાનો વિષય છે. આ શાંતિપૂર્ણ વિસ્તારમાં વાતાવરણ બગાડવા પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોવાનું જણાય છે.
હત્યા પર શોક વ્યક્ત કરતા જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યપ્રધાન સુરિન્દર ચૌધરીએ જણાવ્યું હતું કે ગુનાઓમાં વધારો ચિંતાનો વિષય છે. તેમણે બાનીના ધારાસભ્ય રામેશ્વર સિંહ પર થયેલા જીવલેણ હુમલા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય શનિવારે મોડી રાત્રે બિલ્લાવરની સ્થાનિક હોસ્પિટલમાં મૃતકના પરિવારના સભ્યોને મળવા ગયાં ત્યારે દેખાવકારોએ તેમના પર કથિત હુમલો કર્યો હતો. ધારાસભ્યના સુરક્ષા ગાર્ડ્સે દરમિયાનગીરી કરીને તેમને દૂર લઈ ગયા હતાં.
ફિન્ટર ચોક ખાતે વિરોધ પ્રદર્શનકારીઓના જૂથનું નેતૃત્વ કરનારા સ્થાનિક ભાજપ નેતા ગોપાલ કૃષ્ણે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓએ કરેલા ટાર્ગેટ કિલિંગનો સ્પષ્ટ કિસ્સો છે. સરકારે છેલ્લા એક વર્ષથી જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓનો સફાયો કરવા જંગલોમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવી જોઇએ.
