
એક તરફ અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે બીજી તરફ ત્યારે જ અમેરિકાની એજન્સીનો એક રિપોર્ટ ભારત માટે મુશ્કેલીરૂપ છે. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા સંબંધી અમેરિકન કમિશન (USCIRF)એ પોતાનો એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ભારતમાં ધાર્મિક ઉત્પીડનના કેસમાં વધારો થયો હોવાનું જણાવ્યું છે.
સાથે જ નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઈએને ચિંતા વ્યક્ત કરી છે. આ અહેવાલમાં ભારતને ટિયર-2ની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, જે એક ‘વિશેષ ચિંતાનો દેશ’ ધરાવતી શ્રેણી છે.
USCIRFના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 2018 બાદ ભારતમાં ધાર્મિક ઉત્પીડનના કેસ વધી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં ધાર્મિક સ્વતંત્રતાની કથળતી પરિસ્થિતિઓને જાહેર કરવામાં આવી છે, પણ સરકારો તેને રોકવાનો કોઈ જ પ્રયાસ કરી રહી નથી.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસની પૂર્વે જ અમેરિકાની USCIRF દ્વારા એક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો જે ભારતને લઈ નકારાત્મક વલણ જાહેર કરે છે. આ અહેવાલમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ખોરવાઈ રહી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધાર્મિક ઉપદ્રવ ઘટે તેવી નિવેદન નથી કર્યા અને તેમની પાર્ટીના સભ્યોના હિંદુ ચરમપંથી સંગઠનો સાથે સંબંધો રહ્યાં છે. આ નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ પણ કર્યો છે. આ અહેવાલ દ્વારા અમેરિકી સરકારે ભારત સરકાર સમક્ષ કેટલીક ભલામણો પણ કરી છે. આ ભલામણોમાં ઉશ્કેરણીજનક ભાષન આપનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી, પોલીસને મજબુત બનાવવામાં આવે જેથી કરીને કડક પગલા ભરી શકાય અને પૂજા સ્થળોની સુરક્ષા વધારવાનો સમાવેશ થાય છે. USCIRF એક અમેરિકી એજન્સી છે જે દુનિયાભરમાં ધાર્મિક બાબતે રિપોર્ત તૈયાર કરે છે, આ એજન્સી સીધી અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી સંસદ અને અમેરિકી સેનેટને રિપોર્ટ કરે છે.
