મુંબઈમાં 'સરફરોશ' ફિલ્મની 25મી વર્ષગાંઠ પર ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન બોલિવૂડ અભિનેતા આમિર ખાન, નસીરુદ્દીન શાહ અને સોનાલી બેન્દ્રે (ANI ફોટો)
આમિર ખાન અને સોનાલી બેન્દ્રે અભિનિત સુપરડુપર હિટ થયેલી ફિલ્મ સરફરોશની સીક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રીલીઝના તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ થતાં તેનું મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું.
આ અવસરે ફિલ્મના કલાકારો અને બીજી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. આ વેળાએ આમિર ખાને ફિલ્મની સીક્વલ બનાવવાની પણ જાહેરાત કરી ત્યારે સોનાલી બેન્દ્રે, મકરંદ દેશપાંડે, ગોવિંદ નામદેવ, પ્રદીપ રાવત સહિતના કલાકારો હાજર રહ્યા હતા. અગાઉ આમિરખાને આ ફિલ્મની સીક્વલ બનાવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. આ અંગે આમિરખાને મીડિયાને જણાવ્યું હતું કે, સરફરોશ 2 બનાવવાની તેમની ખૂબ જ ઈચ્છા છે.
યોગ્ય સ્ક્રિપ્ટ મળે તો ફિલ્મની શરૂઆત કરવામાં આવશે. સામાન્ય રીતે આમિર ખાન પોતાની ફિલ્મની સીક્વલ બનાવતા નથી. પરંતુ, બોલિવૂડમાં અત્યારે સીક્વલનો જમાનો છે, તેથી તેણે તે બાબતે વિચાર કર્યો છે. આમિર ખાન અને સોનાલી બેન્દ્રેની જોડી આ સીક્વલમાં ફરી જોવા મળશે કે કેમ તે અંગે પણ અટકળો ચાલી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે, આમિર ખાને સ્ક્રિપ્ટ વિચારી લીધી હશે અને તેથી જ તેમણે સીક્વલની વાત કરી હશે.

LEAVE A REPLY