દેશની અગ્રણી સહકારી સંસ્થા નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (‘નાફેડ’)ના ડાયરેક્ટરની ચૂંટણીમાં રાજકોટના હાલના સાંસદ નેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતાં.નાફેડના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં જેઠા ભરવાડ પણ ચૂંટાઈ આવ્યાં હતા.

21મી મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. પરંતુ નાફેડના ડાયરેક્ટની ચૂંટણીમાં અન્ય ચાર ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતાં.

મોહન કુંડારીયાએ કહ્યું હતું કે મને તક આપવા બદલ પક્ષનો આભાર  માનું છું. મારા સહિત પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સમજૂતીથી ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે.

વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નાફેડ છે. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે બીજી બેઠક માટે ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું.

ભાજપે હાલમાં ચાલી રહેલી લોકસભાની બેઠક પર મોહન કુંડારિયાને ફરીથી ટિકિટ આપી નથી.  તેઓ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS)ના મતવિસ્તારમાં એકમાત્ર ગુજરાત બેઠક પરથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બિનહરીફ ચૂંટાયા હતા.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી.  જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે

 

LEAVE A REPLY