(PTI Photo)
બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોના થલાઈવા સ્ટાર તરીકે જાણીતા રજનીકાંત નિવૃત્તિ લેવાના મૂડમાં હોવાનું સાંભળવા મળ્યું છે. 72 વર્ષના રજનીકાંત પણ અમિતાભ બચ્ચનની જેમ સતત ફિલ્મોમાં વ્યસ્ત રહે છે અને તેમની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જોવાતી હોય છે. તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતી ચર્ચા મુજબ, 171મી ફિલ્મ કર્યા પછી તેઓ અભિનયને અલવિદા કહી શકે છે. તમિલ ફિલ્મ મેકર મિસ્કિને તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, નવી પેઢીના સફળ ડાયરેક્ટર લોકેશ કનગારાજ સાથે ફિલ્મ કરવાની રજનીકાંતની ઈચ્છા છે, જે તેમની છેલ્લી ફિલ્મ હોય શકે છે.
ડાયરેક્ટર મિસ્કિનનો આ ખુલાસો સોશિયલ પ્લેટફોર્મ પર ઝડપથી વાઈરલ થયો હતો અને રજનીકાંતના ચાહકો માટે તેના પર વિશ્વાસ કરવાનું અઘરું હતું. થલાઈવા આ પ્રકારનો નિર્ણય લઈ શકે નહીં તેવું માનતા અનેક ચાહકોએ કોમેન્ટ કરી હતી કે, રજનીકાંતે પોતે ક્યારેય નિવૃત્તિ લેવાની વાત કરી નથી. કોઈ બીજાની કહેલી વાત પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. રજનીકાંતની નવી ફિલ્મ જેલર ૧૦ ઓગસ્ટે રિલીઝ થશે. ત્યાર પછી દીકરી ઐશ્વર્યાની ફિલ્મ લાલ સલામમાં પણ રજનીકાંતનો લીડ રોલ છે. તેમની 170મી ફિલ્મનું ટાઈટલ થલાઈવર રાખવામાં આવ્યું છે. ત્યારબાદ 171મી ફિલ્મ લોકેશન કનગારાજ સાથેની છે, જેને સન પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવશે.

LEAVE A REPLY