પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના નવા કેસ અને મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સરકારે બુધવારે સાંજે જારી કરેલા ડેટા અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 958 નવા કેસ નોંધાયા હતા. આની સામે સામે 1,309 દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે છ દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,254 પર પહોંચી ગયો હતો. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,22,911 લોકો કોરોનામુક્ત બન્યાં છે.

રાજ્યમાં રિકવરી રેટ 93% કરતા વધી ગયો હતો, તેમજ સ્વસ્થ થતાં દર્દીઓનો આંકડો પણ વધારે હતો. રાજ્યમાં સ્વસ્થ થતાં દર્દીની સંખ્યા પોઝિટિવ આવતા કેસોની સરખામણીએ ઘણી વધારે હતી. બુધવાર સાંજ સુધીના છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 54,843 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આની સાથે કુલ ટેસ્ટની સંખ્યા અત્યાર સુધીમાં સમગ્ર કુલ 92,17,823 થઈ હતી.

બુધવારે નોંધાયેલા 958 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 195, અમદાવાદ જિલ્લામાં 07, સુરત શહેરમાં 123, સુરત જિલ્લામાં 34, વડોદરા શહેરમાં 96, વડોદરા જિલ્લામાં 32, રાજકોટ શહેરમાં 97, રાજકોટ જિલ્લામાં 29 કોરોનાના કેસ નોંધાયા હતા.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 63 લોકો વેન્ટિલેટર પર હતા, જ્યારે 10,977 દર્દીઓ સ્ટેબલ હતા. અત્યાર સુધીમાં 2,22,911 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.