ભારતમાં કોરોના વાયરસના મામલાઓ ઝડપથી વધી રહ્યા છે. જો આ વાયરસ આ જ ઝડપથી આગળ વધતો રહ્યો તો લોકડાઉન ખુલે ત્યાં સુધી એટલે કે 14 એપ્રિલ સુધીમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા વધીને 17,000થી વધારે થઈ શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડાના આધારે આ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધીમાં 4421 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 144 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. સરકારે કોરોના વાયરસને વધતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે જે 14 એપ્રિલ સુધી રહેશે.

દેશમાં કોરોના વાયરસના મામલા ડબલ થાય તે માટે પહેલા આઠ દિવસ લાગી જતા હતા. હવે વાયરસની આક્રમકતા વધવાના કારણે કોરોના વાયરસના સંક્રમીત આંકડાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના આંકડાઓ ડબલ થવામાં આઠ દિવસમાંથી છ દિવસ થયા બાદ હવે દર ચાર દિવસમાં કોરોનાના કેસ ડબલ થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 15થી 20 માર્ચ સુધીના પાંચ દિવસમાં સંક્રમીત દર્દીઓની સંખ્યા ડબલ થઈ હતી જ્યારે 20થી 23 માર્ચ વચ્ચે ફક્ત ત્રણ જ દિવસમાં દર્દીઓની સંખ્યા ડબલ થઈ ગઈ હતી.

જોકે, 23થી 29 માર્ચ વચ્ચે કોરોનાની ઝડપ થોડી ધીમી પડી હતી અને છ દિવસમાં કોરોનાના મામલા ડબલ થયા હતા. બીજી તરફ 29 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન (29 માર્ચથી 2 એપ્રિલ) કોરોના વાયરસના સંક્રમણના મામલા ડબલ થવા માટે લાગનારો સમય ઘટીને ચાર દિવસનો થઈ ગયો છે. જેનો અર્થ થાય છે કે ભારતમાં દર ચોથા દિવસે કોરોનાના મામલા ડબલ થઈ રહ્યા છે. તબલીગી જમાતના ધાર્મિક આયોજન સાથે સંકળાયેલા લોકોના કારણે કોરોના સંક્રમિતોના કેસ વધી ગયા છે.