કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલાં ક્રુર ત્રાસવાદી હુમલાને પાકિસ્તાન સાથે સાંકળવાના ભારતના પ્રયાસોને સેનેટે એક પ્રસ્તાવ પસાર કરી ફગાવ્યો છે. પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહે ભારતના આ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યાં છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક દારે આ પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. પ્રસ્તાવમાં જણાવ્યાં મુજબ, જળ ત્રાસવાદ અથવા સૈન્ય હુમલાં સહિતના કોઈ પણ પ્રકારના હુમલા સામે પાકિસ્તાન તેના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. પ્રસ્તાવમાં પહેલગામ હુમલાને પાકિસ્તાન સાથે જોડવાના તમામ પ્રયાસોને ફગાવી દેતાં જણાવાયું છે કે, નિર્દોષ નાગરિકોની હત્યા પાકિસ્તાનના મૂલ્યોની વિરુદ્ધ છે. ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની છબિ ખરડવા માટે ચલાવી રહેલા દુષ્પ્રચારની ટીકા કરતાં તેમાં જણાવાયું છે કે, રાજકીય ઉદ્દેશ્યો પાર પાડવા માટે ત્રાસવાદના મુદ્દાને જાણી જોઈને ઉત્તેજન આપવામાં આવે છે. આ ઠરાવમાં સિંધુ નદીના જળને રોકવાના ભારતના નિર્ણયની પણ ટીકા કરી તેને યુદ્ધ સમાન ગણાવ્યું હતું.
દારે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના ભારતની કોઈપણ સૈન્ય કાર્યવાહીનો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. પાકિસ્તાન આવી કોઈ પણ હરકતનો વળતો જવાબત મજબૂત રીતે આપશે. દારે ગૃહને માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય દ્વારા 26 દેશોના રાજદૂતોને પ્રદેશની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
