ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ વર્ષે આઈપીએલ પછી ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમશે.
ઇંગ્લિશ ક્લબે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ જૂનથી સીઝનના અંત સુધી નોર્થમ્પ્ટનશાયર ટીમનો હિસ્સો રહેશે. તેની પહેલી મેચ 22 જૂને મિડલસેક્સ સામે થવાની ધારણા છે.
ચહલ ગઈ સિઝનમાં પણ નોર્થમ્પ્ટનશાયર તરફથી રમી ચૂક્યો છે. ટીમ ચોથા સ્થાને પહોંચી તેમાં ચહલની ભૂમિકા મહત્ત્વની રહી હતી. ટુર્નામેન્ટમાં તેણે ચાર મેચમાં 21.10 ની સરેરાશથી 19 વિકેટ લીધી હતી. તેનું શ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સ 99 રનમાં 9 વિકેટનું હતું.
યુઝવેન્દ્ર ચહલ 2024માં ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો હતો, જો કે તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. તે ભારત માટે છેલ્લે જાન્યુઆરી 2023માં વન-ડે અને ઓગસ્ટ 2023માં ટી-20 રમ્યો હતો. જો કે, આઈપીએલ 2025ના ઓક્શનમાં, પંજાબ કિંગ્સે તેને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
