(ANI Photo)

રશિયાના કઝામાં બ્રિકસ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા (LAC) પર પેટ્રોલિંગ અને સૈનિકોને પરત બોલાવી લેવાના ભારત-ચીન વચ્ચેના કરારને બહાલી આપી હતી તથા બંને દેશો વચ્ચે વિવિધ સ્તરે દ્વિપક્ષીય સંવાદ ફરી ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. 2020માં ગલવાન વેલીમાં લશ્કરી દળોની હિંસક અથડામણ પછી બંને નેતાઓ વચ્ચે આશરે પાંચ વર્ષ પછી પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

ગણવાન સંઘર્ષ પછી સીમા પર બંને દેશોએ મોટીસંખ્યામાં સૈનિકો તૈનાત કરેલા છે અને હવે તે સૈનિકો અમુક સંઘર્ષ પોઇન્ટ્સ પરથી પાછા બોલાવવામાં આવશે. પેટ્રોલિંગ એગ્રીમેન્ટમાં ડેપસાંગ અને ડેમચોક પોઇન્ટનો સમાવેશ થાય છે કે નહીં તેવા સવાલના જવાબમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએએ સંકેત આપ્યો હતો કે આ બંને ઘર્ષણ પોઇન્ટ્સ પણ કરારનો ભાગ છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મતભેદો અને વિવાદોથી સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહમાં ખલેલ ન પહોંચવી જોઇએ, પરંતુ તેનો યોગ્ય રીતે ઉકેલ લાવવા જોઇએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા સંબંધોનો મુખ્ય આધાર રહેવો જોઈએ.

સરહદી વિવાદ પર વિશેષ પ્રતિનિધિઓની અટકી ગયેલી મંત્રણા ફરી ચાલુ કરવાનો આદેશ આપતા મોદી અને જિનપિંગે જણાવ્યું હતું કે તે સરહદ પર શાંતિ અને સુલેહ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

જિનપિંગ સાથેની બેઠક પછી મોદીએ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે ભારત-ચીન સંબંધો બંને દેશોના લોકો માટે જ નહીં, પરંતુ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા દ્વિપક્ષીય સંબંધોને માર્ગદર્શન આપશે.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે મોદી અને શી જિનપિંગ બંનેએ ભાર મૂક્યો હતો કે ભારત અને ચીન એકબીજાની સંવેદનશીલતા, હિતો, ચિંતાઓ માટે પરસ્પર આદર દર્શાવીને શાંતિપૂર્ણ, સ્થિર અને ફાયદાકારક દ્વિપક્ષીય સંબંધો બનાવી શકે છે.

પૂર્વ લદ્દાખ વિવાદમાં ભારતના વલણનો ઉલ્લેખ કરતાં મિસરીએ જણાવ્યું હતું કે સરહદી વિસ્તારમાં શાંતિ-સુલેહની પુનઃસ્થાપનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનવાનો માર્ગ ખુલશે. બંને દેશો વચ્ચે લશ્કરી દળોને પાછા બોલાવી લેવાની અને પેટ્રોલિયમ ચાલુ કરવાની સમજૂતી પછી બંને નેતાઓની બેઠક યોજાઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ગલવાન ખીણમાં ભીષણ અથડામણને પગલે એશિયાના આ બંને દેશો વચ્ચેના સંબંધો કથળ્યા હતાં. સોમવારે ભારત અને ચીને પૂર્વ લદ્દાખમાં LAC પર પેટ્રોલિંગ અને લશ્કરી દળોને પરત બોલાવી લેવાની સમજૂતી કરી હતી, જે ચાર વર્ષ લાંબા વિવાદનો અંત લાવવા માટેની મોટી સફળતા છે.

ચીનના પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે આપણા બંને દેશોના લોકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય બંને આ બેઠકો પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. બંને પક્ષો માટે વધુ વાતચીત અને સહકાર હોવો મહત્ત્વપૂર્ણ છે. આપણે મતભેદોનો  યોગ્ય રીતે ઉકેલ લાવવા અને વિકાસની આકાંક્ષાઓને આગળ ધપાવવા માટે એકબીજાને સુવિધા આપવી મહત્વપૂર્ણ છે.

 

 

 

LEAVE A REPLY