(istockphoto.com)

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બુધવાર, 16 ઓક્ટોબરે તેના ચાન્સેલરની ચૂંટણી માટે અંતિમ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. કુલ 38 ઉમેદવારોમાં ભારતીય મૂળના ત્રણ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જોકે આ રેસમાંથી પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન બહાર ફેંકાઈ ગયા હતા. ઇમરાન ખાનની ટીમે યુનિવર્સિટીને પત્ર લખીને સવાર કર્યો હતો કે 38 ઉમેદવારોની યાદીમાંથી ઇમરાન ખાનને કેમ બાકાત રાખવામાં આવ્યા છે.

ભારતીય મૂળના ઉમેદવારોમાં બર્કશાયરના બ્રેકનેલ ફોરેસ્ટના પ્રથમ ભારતીય મૂળના મેયર અંકુર શિવ ભંડારી, ઇન્ટરનેશન આંત્રેપ્રિન્યોરના પ્રોફેસર નિર્પાલ સિંહ પોલ ભંગાલ અને મેડિકલ પ્રોફેશનલ પ્રતિક તરવાડીનો સમાવેશ થાય છે. આ રેસમાં અન્ય શિક્ષણવિદો, રાજકારણીઓ અને ઉદ્યોગસાહસિકો પણ સામેલ છે. 25 નવેમ્બરની આસપાસ નવા કુલપતિની જાહેરાત કરવામાં આવશે.

કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ નેતા લોર્ડ વિલિયમ હેગ અને લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા લોર્ડ પીટર મેન્ડેલસન ઉમેદવાર તરીકે પસંદ કરાયેલા વરિષ્ઠ રાજકારણીઓ છે. જોકે પસંદગી પ્રક્રિયા પછી ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં.

28 ઓક્ટોબરથી શરૂ થનારા પ્રથમ રાઉન્ડના મતદાનમાં મતદારો તેઓ ઈચ્છે તેટલા ઉમેદવારોને ક્રમ આપી શકે છે. ટોચના પાંચ ઉમેદવારોના નામ 4 નવેમ્બરે જાહેર કરવામાં આવશેય આ પછી 18 નવેમ્બરે બીજા રાઉન્ડનું મતદાન થશે.

તેમના ‘સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’માં ભંડારીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે યુનિવર્સિટીને ‘શિક્ષણ, સંશોધનનું મંદિર અને ઈતિહાસની દીવાદાંડી ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે ચાન્સેલર તરીકે સેવા આપવી એ ‘મારા જીવનનું સન્માન’ હશે. ભંડારી માને છે કે તેઓ આ ભૂમિકા માટે યોગ્ય છે અને યુનિવર્સિટીના ચાલુ મિશનમાં યોગદાન આપી શકે છે.

આ અવેતન પોસ્ટ માટેના ઉમેદવારોએ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા ચોક્કસ માપદંડો અનુસાર તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ દર્શાવવી જરૂરી છે. તેઓએ યુનિવર્સિટીના સંશોધન અને શૈક્ષણિક મિશન, તેના વૈશ્વિક સમુદાય, વિશ્વ-કક્ષાની સંશોધન અને શૈક્ષણિક યુનિવર્સિટી રહેવાની તેમની મહત્વાકાંક્ષા અને સ્થાનિક, રાષ્ટ્રીય તથા વિદેશમાં યુનિવર્સિટીની પ્રતિષ્ઠા વધારવાની તેમની ક્ષમતા અને ઈચ્છા પ્રત્યે પ્રતિબદ્ધતા પણ દર્શાવવી જોઈએ.
યુનિવર્સિટીએ યાદીમાંથી ઉમેદવારને બાકાત રાખવા માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું ન હતું, પરંતુ કેટલાક નિષ્ણાતોએ સંકેત આપ્યો હતો કે ઓક્સફોર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઇમરાન ખાન તેમના વતનમાં ગુનાહિત દોષિત હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોઈ શકે છે.

LEAVE A REPLY