સુપ્રીમ કોર્ટે શુક્રવારે જાણીતા યાત્રાધામ તિરુપતિના લાડુમાં પ્રાણીની ચરબીના ઉપયોગના આરોપોની તપાસ કરવા માટે પાંચ સભ્યોની સ્વતંત્ર-સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. કોર્ટે કરોડો લોકોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ સ્વતંત્ર તપાસનો આદેશ આપ્યો હતો. આ મુદ્દે આંધ્રપ્રદેશ સરકારે તપાસ માટે 26 સપ્ટેમ્બરે રચેલી વિશેષ તપાસ ટીમ (એસઆઇટી)ના સ્થાને સુપ્રીમે આ સ્વતંત્ર બનાવેલી ટીમની રચના કરી હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ મુદ્દે રાજકારણ પણ રમાઈ રહ્યું છે.
જસ્ટિસ બી. આર. ગવઈ અને કે. વી. વિશ્વનાથનની બેન્ચે અવલોકન કર્યું હતું કે, અમે નથી ઈચ્છતા કે આ મુદ્દો એક રાજકીય નાટક બને. આ મુદ્દે સમગ્ર વિશ્વના કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. કોર્ટે આ SITમાં સીબીઆઇ, આંધ્રપ્રદેશ પોલીસના બે-બે અધિકારી ઉપરાંત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના એક વરિષ્ઠ અધિકારીનો સમાવેશ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે સ્વતંત્ર SITમાં સીબીઆઈના બે અધિકારીઓને તેના ડાયરેક્ટર તથા આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓને રાજ્ય સરકાર નોમિનેટ કરશે.
FSSAIના અધ્યક્ષ SITનો ભાગ બનવા માટે વરિષ્ઠ અધિકારીને નોમિનેટ કરશે. આ SIT સીબીઆઇના ડાયરેક્ટરના સુપરવિઝનમાં કામ કરશે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આ મહિનાની શરૂઆતમાં દાવો કર્યો હતો કે રાજ્યની અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડીની સરકાર દરમિયાન તિરુપતિ લાડુ તૈયાર કરવામાં પશુ ચરબીનો ઉપયોગ કરાયો હતો. આ દાવાથી મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો. વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ નાયડુ પર રાજકીય લાભ માટે ઘૃણાસ્પદ આરોપો મૂકવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યમાં સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટીએ તેના દાવાને સમર્થન આપવા માટે ગુજરાતની એક લેબોરેટરીનો રીપોર્ટ જારી કર્યો હતો. કોર્ટે આ મામલે અનેક અરજીઓની સુનાવણી કરતાં એસઆઇટીનો આદેશ આપ્યો હતો.

LEAVE A REPLY