(ANI Photo)

સદગુરુ તરીકે ઓળખતા જગ્ગી વાસુદેવનના ઇશા ફાઉન્ડેશને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવાર, 3 ઓક્ટોબરે ફાઉન્ડેશન સામે તપાસના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર કેસ પોતાના હાથમાં લીધો હતો અને પોલીસને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ આ મામલે પોલીસે હવે કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં.

મદ્રાસ હાઇકોર્ટના આદેશને ઇશા ફાઉન્ડેશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ અરજીની સુનાવણી કરતાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રથમ વાત તો એ છે કે તમે આખા પોલીસ કાફલાને આવી સંસ્થામાં આ રીતે મોકલી શકો નહીં… આપણે વધુમાં વધુ ન્યાયિક અધિકારીને પરિસરની મુલાકાત લેવા અને આ બે રહેવાસીઓ સાથે વાત કરવાનું કહી શકીએ છીએ.

આશ્રમમાં રહેતી એક મહિલા વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર થઈ હતી અને તેને પુનરોચ્ચાર કર્યો કે તે આશ્રમમાં સ્વેચ્છાએ રહી રહી છે. તેને આરોપ મૂક્યો હતો કે તેના પિતા છેલ્લા આઠ વર્ષથી તેમને હેરાન કરી રહ્યા છે. કોર્ટ ચેમ્બરમાં ન્યાયાધીશે બંને સંન્યાસી મહિલાઓને સાંભળી હતી અને તે પછી ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે બંને મહિલાઓ આશ્રમમાં સ્વેચ્છાએ રહે છે.

અગાઉ નિવૃત્ત પ્રોફેસર ડૉ. એસ કામરાજે દાખલ કરેલી હેબિયસ કોર્પસ પિટિશન પર સુનાવણી કરતી વખતે મદ્રાસ હાઇકોર્ટે ઇશા ફાઉન્ડેશન સામેના તમામ ક્રિમિનલ કેસોની તપાસ કરીને તેનો રીપોર્ટ માંગ્યો હતો. આ પછી મંગળવારે કોઈમ્બતુરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ રેન્કના અધિકારીની આગેવાનીમાં 150 પોલીસ કર્મચારીઓનો કાફલો થોન્ડમુથુરમાં ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં પ્રવેશ્યો હતો અને તપાસ ચાલુ કરી હતી.
ડો. એસ કામરાજે આરોપ મૂક્યો હતો કે તેમની બે પુત્રીઓ ગીથા કામરાજ (42) અને લતા કામરાજ (39)ને

કોઈમ્બતુરમાં ફાઉન્ડેશનમાં કેદમાં રાખવામાં આવી છે. આ ફાઉન્ડેશન વ્યક્તિઓનું બ્રેઈનવોશ કરે છે, તેમને સાધુ બનાવી દે છે અને પરિવારો સાથેના તેમના સંપર્કને તોડાવી નાંખે છે.
હાઇકોર્ટે આ પિટિશનની સુનાવણી કરતાં સદગુરુને આકરો સવાલ કર્યો હતો કે તમે તમારી પુત્રીના લગ્ન કરી દીધા છે અને તે સાંસારિક રીતે સુખી જીવન જીવી રહી છે, તો પછી તમે શા માટે અન્ય મહિલાઓનું મુંડન કરાવી તેંને સંન્યાસી જીવન જીવવા પ્રેરિત કરો છો?’

અરજદારે દાવો કર્યો હતો કે મારી બે ઉચ્ચ અભ્યાસ કરેલી દીકરીઓનું બ્રેઇનવોશ કરી ઈશા ફાઉન્ડેશનના યોગ સેન્ટરમાં રાખવામાં આવી છે. મારી મોટી દીકરીએ બ્રિટનમાંથી M.Tech ડિગ્રી મેળવી છે અને મહિને એક લાખ રૂપિયા કમાતી હતી. 2007માં તેને બ્રિટનના જ એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ 2008માં તેમના છૂટાછેડા થઈ ગયા હતાં આ પછી જ તેને ઈશા ફાઉન્ડેશનના યોગ સેન્ટરમાં ભાગ લેવાનું શરુ કર્યુ હતું. તેને જોઈને જ મારી નાની દીકરી પણ યોગ કેન્દ્રમાં રહેવા લાગી હતી.

આ મામલે મદ્રાસ હાઇકોર્ટે આ બે દીકરીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન આ બન્ને દીકરીઓએ કહ્યું હતું કે ‘અમે અમારી મરજીથી આ યોગ સેન્ટરમાં જોડાયા છીએ.’ વાતચીત દરમિયાન મદ્રાસ હાઇકોર્ટે આ દીકરીઓને સવાલ કર્યો હતો કે તમે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવાની વાત કરી રહ્યા છો. તો શું તમારા માતા-પિતાને અવગણવું એ પાપ નથી? ભક્તિનો સાર જ એ છે કે દરેકને પ્રેમ કરો અને કોઈને નફરત ન કરો, પરંતુ અમને તમારામાં તમારા પરિવાર પ્રત્યે ખૂબ નફરત દેખાઈ રહી છે. તમે તમારા માતાપિતા સાથે સન્માનપૂર્વક વાત પણ નથી કરી રહ્યા.’
આ ઉપરાંત જસ્ટિસ સિવગનનમે શંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘અમે જાણવા માંગીએ છીએ કે એક વ્યક્તિ જેમણે પોતાની પુત્રીના લગ્ન કરી તેને જીવનમાં સારી રીતે સેટલ કરી દીધી છે, તો તે જ વ્યક્તિ કેવી રીતે અન્ય લોકોની દીકરીઓનું મુંડન કરાવીને તેમને સંન્યાસી જીવન જીવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે?’

LEAVE A REPLY