FILE PHOTO- Supreme Court of India
સુપ્રીમ કોર્ટે રૂ.10,000 કરોડની વસૂલાત માટે વેચી શકાય તેવી મિલકતોની યાદી આપવા માટે સહારા ગ્રુપને બુધવારે આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગ્રુપ પાસેથી તેના અધિકારીઓ અને હાલના શેરહોલ્ડર્સની પણ વિગતો માગી છે. રોકાણકારોના પૈસા પરત કરવા માટે આ રકમ સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં જમા કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ, 2012 આદેશોમાં જણાવ્યું હતું કે સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન  (SIRECL) અને સહારા હાઉસિંગ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (SHICL)એ વ્યક્તિગત રોકાણકારો અથવા રોકાણકારોના જૂથ પાસેથી એકત્રિત કરેલી રકમ ત્રણ મહિનામાં 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે સેબીમાં જમા કરશે.
ન્યાયાધીશ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું કે અદાલતે રોકાણકારોના નાણાં પરત કરવા માટે કોઈ વ્યવહારુ ઉકેલ શોધવો પડશે કારણ કે આ મુદ્દો એક દાયકા કરતાંથી વધુ સમયથી પેન્ડિંગ છે. સહારા ગ્રૂપે કહ્યું છે કે તે આશરે રૂ. 10,000 કરોડ જમા કરાવવા માટે કોઇ સ્કીમ સબમિટ કરશે. આ બાબત આગળ વધી શકી નથી. કોર્ટે રૂ.25,000 કરોડ જમા કરાવવાના નિર્દેશ આપ્યાને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. અમારે આગળ વધવા માટેનો કોઇ વ્યવહારુ ઉકેલ શોધવો પડશે, કારણ કે કંપનીએ અત્યાર સુધીમાં માત્ર રૂ.15,000 કરોડ જમા કર્યા છે.
સહારા ગ્રૂપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે કંપની બાકીની રકમ જમા કરાવવા માટે રોડમેપ સબમિટ કરશે. જોકે સેબી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારે જણાવ્યું હતું કે 2023માં સુબ્રત રોયના અવસાન પછી કોઈને ખબર નથી કે કંપનીના વડા કોણ છે અને કોર્ટના આદેશ મુજબ તે પૈસા કેવી રીતે જમા કરાવશે.
આ પછી ખંડપીઠે જણાવ્યું હતું કે અમે ડિરેક્ટર્સ અને શેરધારકોના નામ સહિત વર્તમાન કંપની માળખા વિશે જાણવા માંગીએ છીએ. ગુરુવારે તે પહેલા પ્રોપર્ટીના વેચાણના મુદ્દાની સુનાવણી કરશે અને તે પછી રોકાણકારોને નાણાં પરત કરવાના મુદ્દાની સુનાવણી કરશે.
કોર્ટના આદેશ મુજબ સંપૂર્ણ રકમ જમા ન કરવા પર નારાજગી વ્યક્ત કરતાં મંગળવારે કોર્ટે જણાવ્યું હતું કે “રૂ.25,000 કરોડમાંથી બાકીના રૂ.10,000 કરોડ જમા કરાવવા માટે તેની મિલકતો વેચવા પર સહારા ગ્રુપ પર કોઈ પ્રતિબંધ નથી. માત્ર શરત એ છે કે આ મિલકતો  સર્કલ રેટથી નીચે વેચવી જોઈએ નહીં અને જો તેને સર્કલ રેટથી નીચે વેચવું હોય તો કોર્ટની પૂર્વ પરવાનગી લેવી પડશે.
અગાઉ સેબીએ કોર્ટને જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના 2012ના આદેશ અનુસાર સહારાની કંપનીઓએ અત્યાર સુધીમાં રૂ.15,455.70 કરોડ જમા કરાવ્યા છે, જેનું વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોની ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરાયું છે અને 30 સપ્ટેમ્બર, 2020 સુધીમાં સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં વ્યાજ સાથે કુલ રકમ રૂ.22,589.01 કરોડ છે.

LEAVE A REPLY