(ANI Photo)
જિઓ સ્ટુડિઓઝ દ્વારા તાજેતરમાં આદિત્ય ધરની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ વિવિધ ભૂમિકામાં જોવા મળશે. તેમની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ફિલ્મનું નામ લખ્યા વગર આ ફિલ્મ અંગે એક જાહેરાત કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની હતી.
આ ફિલ્મનું શૂટિંગ 25 જુલાઈથી શરૂ થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મ એક પીરીઅડ એક્શન થ્રિલર છે, જે ભારત-પાકિસ્તાનના ભૌગોલિક અને રાજકીય મુદ્દાઓ પર આધારિત છે. આ ફિલ્મ અંગે એવું અનુમાન કરવામાં આવતું હતું કે, રણવીર આ ફિલ્મમાં ભારતનાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ જેવી ભૂમિકા ભજવશે, તે તેના યુવાનીના દિવસોનો રોલ કરશે.
જોકે, હવે કહેવાય છે કે ફિલ્મમાં  રણવીર તેની ભૂમિકા પણ ભજવવાનો નથી. એક સૂત્ર કહે છે કે, “આર. માધવન આ પ્રકારનો રોલ કરવાનો છે. તેનો આ ફિલ્મમાં એક કૂલ અને જુદા પ્રકારનો લૂક હશે, જેના માટે તે ઘણો ઉત્સાહિત છે.” હજુ એવી કોઈ માહિતી મળી નથી કે, એ પાત્રનું નામ અજિત ડોભાલ જ હશે કે માત્ર તેમનાથી પ્રેરિત હશે? આ ઉપરાંત રણવીર સિંહના પાત્ર અંગે પણ કોઈ માહિતી મળી નથી. રસપ્રદ વાત એ છે કે, આદિત્ય ધર બીજીવાર પોતાની ફિલ્મમાં અજિત ડોભાલને બતાવશે, ‘ઉરીઃ ધસર્જિકલ સ્ટ્રાઇક’માં પણ પરેશ રાવલનું પાત્ર ગોવિંદ ભારદ્વાજ અજિત ડોભાલ પર આધારિત હતું.

LEAVE A REPLY