અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અલ-કાયદા દ્વારા કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે આરોપી ખાલિદ શેખ મોહમ્મદે પોતાનો ગુનો કબૂલવા માટે સહમતી દર્શાવી છે, તેવું ડીફેન્સ ડીપાર્ટમેન્ટે તાજેતરમાં જણાવ્યું હતું. આ ઘટનાક્રમ એક એવા હુમલાના સમાધાન કરવાનો સંકેત આપે છે, જેમાં હજ્જારો લોકોના મોત થયા હતા, અને તેનાથી અમેરિકા તેમ જ મધ્ય પૂર્વના મોટાભાગના દેશોની દિશા બદલાઇ હતી. મોહમ્મદ અને તેના બે સાગરિતો- વાલિદ બિન અતાશ અને મુસ્તફા અલ હૌસાવી ક્યુબાના ગ્વાંટોનામો બેમાં મિલિટરી કમિશન સમક્ષ આવતા અઠવાડિયે પોતાનો ગુનો સ્વીકારે તેવી અપેક્ષા છે.
11 સપ્ટેમ્બરની આ ઘટનામાં મૃત્યુ પામેલા અંદાજે 3 હજાર લોકોના કેટલાક સંબંધીઓએ સરકાર તરફથી મળેલા પત્રો અનુસાર બચાવ પક્ષના વકીલોએ આ લોકોને દોષિત ઠેરવવાના બદલે આજીવન કેદ સજા ફરમાવવાની વિનંતી કરી હતી. આ ઘટનાના પીડિત પરિવારોના એક ગ્રુપનાં વડાં ટેરી સ્ટ્રાડાએ જ્યારે આવી સમજૂતીના સમાચાર સાંભળ્યા ત્યારે તેમણે એવા ઘણા સંબંધીઓનો ઉલ્લેખ કર્યો હતો જેઓ ન્યાયની રાહ જોતા મૃત્યુ પામ્યા હોય. તેમણે બચાવ પક્ષ માટે કહ્યું હતું કે, “તેમણે જ્યારે હુમલાની યોજના બનાવી ત્યારે તેઓ કાયર હતા, અને તેઓ આજે પણ કાયર છે.” પેન્ટાગોનના અધિકારીઓએ આ સમજૂતીની તમામ શરતોને તાત્કાલિક જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. અલ-કાયદાના હુમલા માટે તેમની સામે કાર્યવાહી શરૂ થયાના 16 વર્ષથી વધુ સમય પછી આ ગુનેગારો સાથે અમેરિકાની સમજૂતી થઇ છે.

LEAVE A REPLY