(PTI Photo/Shashank Parade)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમાન ગાયકવાડનું કેન્સરની બિમારી પછી શનિવાર રાત્રે અવસાન થયું હતું. તેમની ઉંમર 71 વર્ષ હતી. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યાં હતાં અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. ગાયકવાડના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર વ્યાપી હતી.

ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંશુમાન ગાયકવાડને એક સંપૂર્ણ “સજ્જન” તરીકે યાદ કર્યા કરીને દુખ વ્યક્ત કર્યું હતું.

1970-80ના દાયકામાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા હતાં અને લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ અને સંદીપ પાટિલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા માટે અપીલ કર્યા પછી BCCIએ 15 દિવસ અગાઉ જ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી હતી.
અંશુમાન ગાયકવાડે 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટથી ડેબ્યુ કર્યું હતું. કોલકાતામાં જ 1984માં છેલ્લી મેચ રમીને તેમણે ક્રિકેટથી વિદાય લીધી હતી. તેમણે 40 ટેસ્ટ મેચમાં 30ની એવરેજથી 1985 રન બનાવ્યા હતાં, જેમાં બે સદી અને 10 અડધી સદી ફટકારી હતી. તેમનો બેસ્ટ સ્કોર 201 રનનો હતો, જે તેમણે પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યા હતા.

ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે કોચિંગમાં પોતાનું કરિયર આગળ વધાર્યું હતું. 1997-99 દરમિયાન તેઓ ટીમના હેડ કોચ રહ્યા હતા. જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતાં.

LEAVE A REPLY