(PTI Photo)

કેરળના પર્વતીયાળ વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવાર વહેલી સવારે ત્રણ જગ્યાએ વિનાશક ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 128 લોકોના મોત થયાં હતાં, 128 ઘાયલ થયા હતા અને સેંકડો લોકો કાદવકીચડમાં દટાયા હતાં. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝાનો સમાવેશ થાય છે. ભારે ભુસ્ખલને કારણે પુલ અને રસ્તાઓ વહી ગયા છે અને ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બની ગયા હતા. ભૂસ્ખલનને પગલે ભારે વિનાશ સર્જાયો હતો. અનેક મકાનો ધરાશાયી થયાં હતાં અને જળાશયો ઊભરાયાં હતાં. અનેક વૃક્ષો ઉખડી ગયાં હતાં.

તિરુવનંતપુરમમાં મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે ભારે વરસાદને કારણે, ભૂસ્ખલન થયું હતું અને એક આખો પ્રદેશ નાશ પામ્યો હતો. અત્યાર સુધીમાં 93 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.128 લોકોની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.3,000 થી વધુ લોકોને 45 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. ગઈ રાત્રે સૂઈ ગયેલા બાળકો, શિશુઓ સહિતના લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો અને માટી નીચે દટાઈ ગયા છે. પૂરના પાણી ઘણા લોકોને તાણીને લઈ ગયા હતા.  મલપ્પુરમ જિલ્લાના પોથુકલ્લુમાં ચાલિયાર નદીમાંથી 16 મૃતદેહો મળી આવ્યા છે.

રાજ્યસભામાં ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે મંગળવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને લઘુમતી બાબતોના રાજ્ય પ્રધાન જ્યોર્જ કુરિયનને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે મોકલવામાં આવ્યા છે. મોદીએ કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સાથે વાતચીત કરી હતી અને તેમને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. બચાવ અને રાહત કાર્યમાં NDRFની બે ટીમો, ભારતીય સેનાની બે કોલમ અને IAFના બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતાં. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), આર્મી, ફાયર બ્રિગેડ, નાગરિક સુરક્ષા, પોલીસ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના 300 થી વધુ કર્મચારીઓને શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.

વાયનાડ જિલ્લા સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકોમાંથી, એક બાળક સહિત ચાર લોકો જિલ્લાના ચૂરલમાલા શહેરમાં મૃત્યુ પામ્યા હતાં, જ્યારે નેપાળના એક પરિવારના એક વર્ષના બાળકનું થોંડરનાડ ગામમાં મૃત્યુ થયું હતું.તે ઉપરાંત, ત્રણ મૃતદેહો, જેમાં પાંચ વર્ષના બાળકનો સમાવેશ થાય છે, પોથુકલ ગામ નજીક નદીના કિનારેથી મળી આવ્યાં હતાં.

કલેકટરે માહિતી આપી હતી કે કરમંથોડુ નદી પર આવેલા બનાસુરા સાગર ડેમનું શટર ખોલવામાં આવ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી હતી.

કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે તમામ એજન્સીઓ વાયનાડમાં બચાવ કામગીરીમાં જોડાઈ છે. રાજ્યના પ્રધાનો બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યાં છે. રાહત અને બચાવ કામગીરીમાં કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને NDRF ઉપરાંત કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સ પણ જોડાયા હતા. એરફોર્સના બે હેલિકોપ્ટર પણ વાયનાડ મોકલવામાં આવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખ અને ઘાયલોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરી હતી. કોંગ્રેસના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ આ દુર્ઘટનાથી “ખૂબ જ વ્યથિત” છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

 

LEAVE A REPLY