(ANI Photo)
હિન્દી ભાષામાં અનેક પ્રકારની ફિલ્મોનું નિર્માણ થયું છે, જેમાં ગણિકાઓ પર આધારિત ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મો લોકોના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. પાકીઝા, ઉમરાવ જાન, દેવદાસ, ગંગુબાઈ કાઠિયાવાડી જેવી અનેક ફિલ્મોની આજે પણ ચર્ચા થાય છે. તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થયેલી સંજયલીલા ભણસાલીની વેબસિરીઝ ‘હીરામંડી ધ ડાયમંડ બઝાર’ અત્યારે ચર્ચામાં છે. અહીં આ વિષય પર આધારિત ફિલ્મો અને વેબસિરીઝ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી છે.
પાકિઝા
મીનાકુમારી અભિનિત આ ફિલ્મનું ગીત ‘ચલતે ચલતે યૂ હી કોઈ મિલ ગયા થા’ હંમેશા લોકમુખે ગવાતું રહ્યું છે. 1972માં રીલીઝ થયેલી પાકિઝા ફિલ્મના આ ગીતમાં મીનાકુમારીને જોઈને રાજકુમાર એક ગણિકાને દિલ આપી બેઠા હતા. મીનાકુમારીએ આ ફિલ્મમાં ગણિકા સાહિબજાનની ભૂમિકા ભજવી હતી.
ઉમરાવ જાન
પીઢ અને લોકપ્રિય અભિનેત્રી રેખાએ 1981માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉમરાવ જાન’માં ગણિકાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન મુઝફ્ફર અલીએ કર્યું હતું, તેની કથા મિર્ઝા હાદી રુસ્વા દ્વારા લખાયેલી નવલકથા ઉમરાવ જાન અદા પર આધારિત હતી. રેખાએ આ ફિલ્મમાં લખનૌની ગણિકા ઉમરાવ જાનની ભૂમિકા ભજવી હતી. જેનું બાળપણનું નામ અમરીન હતું પરંતુ એક ઘટના બાદ તે મજબૂરીમાં ગણિકા બને છે.
મંડી
1983માં રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું હતું. ફિલ્મમાં શબાના આઝમી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા અને ઓમપુરી જેવાં પીઢ કલાકારોએ દમદાર અભિનય કર્યો હતો.
દેવદાસ
સંજય લીલા ભણસાલી નિર્મિત ફિલ્મ ‘દેવદાસ’માં માધુરી દીક્ષિતે ગણિકાનો રોલમાં કર્યો હતો. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની ફિલ્મ દેવદાસને રિલીઝ થયાના વર્ષો પછી પણ લોકો પસંદ કરે છે. દેવદાસ અને પારો વચ્ચેની આ પ્રેમકથામાં ગણિકા ચંદ્રમુખીનો પ્રેમ જોવા જેવો હતો.
ગંગુબાઈ કાઠિયાવાડી  
સંજય લીલા ભણસાલીની અન્ય એક ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’  પણ ગણિકાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે ગણિકા- ગંગુબાઈની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ગંગાની સત્ય ઘટના પર આધારિત છે, જે ફિલ્મોમાં ચમકવા માટે ઘરેથી ભાગી જાય છે, પરંતુ એને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવે છે. એ ગણિકાઓને અઠવાડિયામાં એકવાર રજા આપવાની હિમાયત કરે છે. પછી ગંગુબાઈ એ વેશ્યાલયની માલિક અને માફિયા રાણી બની જાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.
ચમેલી
2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચમેલી’માં કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં એક વિધુર પુરુષ અને વેશ્યા વચ્ચેની મિત્રતાની કહાની હતી.
બેગમ જાન
આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી, તેમાં વિદ્યા બાલને ‘બેગમ જાન’ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બેગમ જાન પર આધારિત હતી. ફિલ્મના અંતમાં પોતાની કોઠી છોડવાના બદલે ગણિકાઓ જોહર કરે છે.
ચાંદની બાર
તબ્બુ અભિનિત આ બહચર્ચિત ફિલ્મનું દિગ્દર્શન મધુર ભંડારકરે કર્યું છે, જેમાં તબ્બુનાં અભિયનની ખૂબ પ્રશંસા થઈ હતી. પોતાના સંતાનોને આવા વાતાવરણથી દૂર રાખવા ઇચ્છતી માતા અંતે દીકરીને જાતે જ બારમાં ડાન્સ કરવા મોકલે છે. ફિલ્મમાં શાનદાર અભિનય માટે તબ્બુને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો.
હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર
સંજય લીલા ભણસાલીની વેબસીરિઝ હીરામંડીઃ ધ ડાયમંડ બઝારમાં મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શર્મિન સેહગલ અને સોનાક્ષી સિંહાએ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ ગણિકાઓના જીવન પર આધારિત છે. જેમાં મનીષા કોઈરાલાએ મલ્લિકાજાનનું પાત્ર ભજવ્યું છે, જેને હવેલીમાં રહેતા રાજાઓ પણ ખૂબ માન આપે છે. આ સિવાય અદિતિ રાવ હૈદરીએ મલ્લિકાજાનની પુત્રી બિબ્બોજાનની ભૂમિકા ભજવી છે. સંજીદા શેખે મલ્લિકાજાનની નાની બહેન ફહિદાની ભૂમિકા ભજવી છે. રિચાએ લજ્જોની ભૂમિકા ભજવી છે, શર્મિન સહગલે આલમઝેબની ભૂમિકા ભજવી છે. આ સિરીઝમાં સોનાક્ષી સિંહાએ રેહાના આપા અને ફરદીનનું એમ બે પાત્રો ભજવ્યા છે. ફિલ્મમાં ગણિકાઓના રાજકારણથી પોતાનો એક્કો જમાવવા સગી બહેનની હત્યા કરવાનું ષડયંત્ર દર્શાવ્યું છે. પરંતુ જ્યારે દેશની આઝાદીની વાત આવે છે, ત્યારે દુશ્મનમાંથી દોસ્ત બની બધી ગણિકાઓ એક થઈ જાય છે. પરંતુ એમના બલિદાનની ગાથા ક્યાંય ઉલ્લેખાઈ નથી.

LEAVE A REPLY