વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 1 મે, 2024 ના રોજ ગુજરાતના બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી માટે જાહેર સભાને સંબોધિત કરી હતી. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ સુધી ચૂંટણી પ્રચાર કરવા માટે બુધવાર, પહેલી મેએ ગુજરાતમાં આવી પહોંચ્યા હતાં. ગુજરાતમાં સાત મેએ લોકસભાની 25 બેઠકો પર મતદાન થવાનું છે. રાજ્યમાં વડાપ્રધાન મોદી કુલ છ જાહેરસભા યોજશે અને 11 લોકસભા વિસ્તારોને આવરી લેશે.

વડાપ્રધાન મોદી આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જૂનાગઢ, જામનગર, બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં ચૂંટણીસભા યોજશે. નરેન્દ્ર મોદી પણ વડોદરામાં રોડ શો કરે તેવી શક્યતા છે.

ગુજરાતની 26માંથી 25 બેઠકો માટે મતદાન ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન થશે. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતમાં પ્રચાર કર્યોહતો અને ભાજપની ત્રીજી ટર્મની હિમાયત કરી હતી. તેમના સંબોધન દરમિયાન, ગૃહ પ્રધાને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જો PM મોદી સતત ત્રીજી વખત સત્તામાં આવશે, તો તેઓ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબૂદ કરશે.

કોંગ્રેસે ગયા અઠવાડિયે ગુજરાતમાં તેના લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. 27 એપ્રિલના રોજ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાર્ટીના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં વલસાડ લોકસભા સીટ હેઠળના ધરમપુરમાં જાહેર સભા કરી હતી, જ્યારે રાહુલ ગાંધીએ 29 એપ્રિલે પાટણમાં તેના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધી હતી.

LEAVE A REPLY