(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાના મુદ્દે કોંગ્રેસમાં વિખવાદ ઊભરી રહ્યો છે. પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે જણાવ્યું હતું કે આમંત્રણ હોવા છતાં જેઓ આ સમારંભમાં હાજરી ન આપે તો તે તેમનું દુર્ભાગ્ય હશે.

કર્ણાટકના મંત્રી ડી સુધાકરે કહ્યું હતું કે ભાજપ ચૂંટણી પહેલા રામમંદિરના મુદ્દે લાભ મેળવવા માગે છે. પાર્ટીએ 2019ની ચૂંટણીમાં પુલવામાનો લાભ ઉઠાવ્યો હતો. બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે અમે અયોધ્યા રામ મંદિરના મુદ્દાના વિરોધમાં નથી. અમે મંદિર બનાવવાના પણ વિરોધમાં નથી. અમે રામ મંદિરની તરફેણ કરીએ છીએ.

આ મુદ્દા પર રાજકારણને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા આચાર્ય પ્રમોદે કહ્યું હતું કે લોકશાહીમાં આવું ન થવું જોઈએ. તમે પીએમ મોદીનો વિરોધ કરી શકો છો અને તેમના નિર્ણયોની ટીકા કરી શકો છો, પરંતુ પીએમ મોદીને નફરત કરવી તે લોકશાહીની સારી નિશાની નથી. કેટલાક લોકો પીએમ મોદીને નફરત કરીને પોતાને બરબાદ કરી રહ્યા છે. કેટલાક વિપક્ષી નેતાઓએ પોતાની જ ચૂંટાયેલી સરકારને ગબડાવી છે. આ સંપૂર્ણ વિનાશ છે.

કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે આ નકારાત્મક ઉર્જા છે. આ નકારાત્મક, નાસ્તિક લોકો છે. જે લોકો રામનો વિરોધ કરે છે તેમનું રાજકારણમાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. ભારતના લોકોને આ નકારાત્મકતા ગમશે નહીં. આ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ દુશ્મનના ઘરે પણ તહેવાર હોય ત્યારે ખુશ થવાની ધારણા છે. આ દરેકનો તહેવાર છે. આ ભારતનો તહેવાર છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments