(PTI Photo)
કુવૈતના દક્ષિણ મંગાફ સિટીમાં બુધવારે વહેલી સવારે છ માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા 45 ભારતીયો સહિત ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત થયા હતાં. આ દુર્ઘટનામાં 30થી વધુ ભારતીય કામદારો ઘાયલ પણ થયા હતાં. બિલ્ડિંગના નીચેના માળના રસોડામાં આગ લાગી હતી અને ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. તેનાથી ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતાં.
ઘાયલ થયેલા કામદારોને સારવાર માટે દાખલ કરાયા હતા તે હોસ્પિટલની ભારતના રાજદૂતે  મુલાકાત લીધી હતી. ભારતના દક્ષિણી રાજ્ય કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન દ્વારા ભારતના વિદેશ પ્રધાનને લખવામાં આવેલા પત્ર અનુસાર કેરળ લોકો સહિત ઘણા ભારતીયો આગમાં મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ હતા. રાજ્યની બહાર રહેતા કેરળવાસીઓ માટેની સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે કુવૈતમાં ભારતીય સમુદાય દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેરળના 11 સહિત 41 ભારતીયો આગમાં મૃત્યુ પામ્યા હતા. જોકે આ આંકડાને તાકીદે વેરિફાઈ કરી શકાયો ન હતો.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આગના સમાચારને દુઃખદ ગણાવ્યા હતાં.
કુવૈતના નાયબ વડા પ્રધાને આ ઇમારતના માલિકો પર નિયમોનો ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. આ ઇમારત મલયાલી ઉદ્યોગપતિ કેજી અબ્રાહમની માલિકીના NBTC ગ્રૂપની હોવાનું માનવામાં આવે છે. આ બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતાં, જેઓ એક જ કંપનીના કામદારો છે. અહીં રહેતા ઘણા કામદારો ભારતીયો હોવાનું માનવામાં આવે છે.
કુવૈતના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ઘટનામાં 49 લોકો માર્યા ગયા હતાં. બીજા એક રીપોર્ટ અનુસાર આ ઈમારતમાં કેરળ અને તમિલનાડુના કામદારો સહિત લગભગ 195 મજૂરો રહેતા હતા.
વિદેશ પ્રધાન એસ જયશંકરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અહેવાલ છે કે 40થી વધુ મૃત્યુ થયા છે અને 50થી વધુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ,”
કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ અલ-અદાન હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી જ્યાં આગની ઘટનામાં ઘાયલ થયેલા 30થી વધુ ભારતીય કામદારોને દાખલ કરવામાં આવ્યા છે. કુવૈતની કુલ વસ્તીના 21 ટકા (1 મિલિયન) અને તેના કર્મચારીઓના 30 ટકા (આશરે 9 લાખ) ભારતીયો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments